SCO સમિટ: એક ખૂણા બેઠા રહ્યા પાકિસ્તાની પીએમ ઈમરાન, પીએમ મોદીએ હસ્તધૂનન અને વાતચીત કર્યા નહીં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના પીએમ ઈમરાનખાન કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં થઈ રહેલી એસસીઓ સમિટની બેઠકમાં આમને-સામને આવ્યા, પરંતુ તેમની વચ્ચે કોઈપણ વાતચીત અથવા તો મુલાકાત થઈ નથી.
એસસીઓની 19મી બેઠકના ઉદ્ઘાટન સમારંભમાં ઘણાં રાષ્ટ્રાધ્યક્ષોએ ભાગ લીધો હતો. યોગાનુયોગ પીએણ મોદી અને ઈમરાન ખાન હૉલમાં એકસાથે જ પહોંચ્યા હતા. પરંતુ પીએમ મોદીએ ઈમરાનખાન સાથે ન તો હાથ મિલાવ્યો અને ન તો કોઈ અનૌપચારીક વાતચીત કરી હતી.
પીએમ મોદીએ ઈમરાનખાનને જોયા પણ નહીં અને તેઓ સીધા પોતાની બેઠક પર જઈને બેઠા હતા. ઈમરાનખાનની ખુરશી બિલકુલ ખૂણામાં હતી અને તે પીએણ મોદીથી પાંચથી છ બેઠક છોડીને બેઠા હતા.
પીએમ મોદી વિશ્વના અન્ય નેતાઓના સ્વાગતમાં ઉભા થયા અને તેમની સાથે હાથ પણ મિલાવ્યા હતા. પરંતુ ઈમરાન ખાનને સ્પષ્ટ સંદેશો આપ્યો કે મંચ ચાહે કોઈપણ હોય, આતંકવાદને સમાપ્ત કર્યા વગર પાકિસ્તાન પ્રત્યે તેમનું વલણ બદલાવાનું નથી.
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી અને આતંકવાદનો મામલો ઉઠાવ્યો હતો. પીએમ મોદીએ સ્પષ્ટપણ કહ્યુ હતુ કે પાકિસ્તાન સાથે વાટાઘાટો શરૂ કરવા માટે આતંકવાદ સામે નક્કર કાર્યવાહી કરવાની જરૂરત છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જિનપિંગને જણાવ્યુ હતુ કે તેમણે પાકિસ્તાન સાથે સંબંધો સુધારવા માટેની ઘણી કોશિશો કરી, પરંતુ તેનો કોઈ ફાયદો થયો નથી. પાકિસ્તાને આતંકમુક્ત વાતાવરણ બનાવવાની જરૂરત છે અને હાલ અમે આવું કંઈ થતું જોઈ રહ્યા નથી.
એક રશિયન ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યૂમાં ઈમરાનખાને કહ્યુ છે કે પાકિસ્તાન-ભારતના સંબંધો સૌથી નીચેના સ્તર પર પહોંચી ગયા છે. ઈમરાનખાને કહ્યુ છે કે તેઓ આશા કરે છે કે મોદી બહુમતનો ઉપયોગ તમામ વિવાદોને ઉકેલવામાં કરશે. બિશ્કેક જતા પહેલા પણ ઈમરાને કહ્યુ હતુ કે આ મંચ પર ભારત સહતી તમામ દેશો સાથે સબંધો મજબૂત કરવાનો મોકો હશે.
વડાપ્રધાન મોદીએ બિશ્કેકમાં થઈ રહેલી એસસીઓ સમિટમાં બાગ લેવા માટે પાકિસ્તાનના એરસ્પેસનો ઉપયોગ કર્યો નથી. તેઓ ઓમાનથી લાંબા હવાઈ માર્ગે બિશ્કેક પહોંચ્યા હતા. બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાને ભારતીય વિમાનો માટે પોતાના એરસ્પેસને બંધ કર્યો હતો. પાકિસ્તાને પીએમ મોદી માટે પોતાના એરસ્પેસનો માર્ગ ખોલ્યો હતો. તેમ છતાં પીએમ મોદીએ પાકિસ્તાનના એરસ્પેસના સ્થાને ઓમાનવાળા માર્ગે બિશ્કેક જવાનું પસંદ કર્યું હતું.
પુલવામા ટેરર એટેક અને બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં કડવાશ ચરમસીમાએ છે. પાકિસ્તાન તરફથી સતત વાટાઘાટોની પેશકશ કરાઈ રહી છે. પરંતુ ભારતે સ્પષ્ટતાપૂર્વક કહ્યું છે કે જ્યાં સુધી સીમા પારથી આતંકવાદ પર લગામ લગાવવામાં નહીં આવે. બંને દેશો વચ્ચે કોઈપણ વાતચીત નહીં થાય.
પીએમ મોદીએ એસસીઓ બેઠકમાં રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે પણ દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. બંને નેતા એકબીજાને ગળે પણ મળ્યા હતા.
પુતિન સાથે વાટાઘાટો દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે મારા ચૂંટણીમાં વિજયની ભવિષ્યવાણી પણ સાચી સાબિત થઈ ગઈ। તમારા જેવા જૂના અને ઘનિષ્ઠ મિત્રના વિશ્વાસથી મને ઊર્જા મળી. હું તમારો આભાર માનું છું.