1. Home
  2. revoinews
  3. પાકિસ્તાન તૈયાર કરી રહ્યું છે તાલિબાનોની મદદથી નવો “કાશ્મીર પ્લાન”
પાકિસ્તાન તૈયાર કરી રહ્યું છે તાલિબાનોની મદદથી નવો “કાશ્મીર પ્લાન”

પાકિસ્તાન તૈયાર કરી રહ્યું છે તાલિબાનોની મદદથી નવો “કાશ્મીર પ્લાન”

0
Social Share

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના વિશેષ રાજ્યના દરજ્જાવાળી કલમો-370 અને અનુચ્છેદ-35-એના ખાત્માના કેન્દ્ર સરકારના નિર્ણય વચ્ચે ગુપ્તચર એજન્સીઓએ સરકારને સાવધાન કરી છે કે આગામી દિવસોમાં કાશ્મીરમાં પાકિસ્તાન પ્રાયોજીત આતંકવાદી ઘટનાઓમાં તીવ્રતા આવી શકે છે. તેના માટે પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં સક્રિય તાલિબાનોની મદદ લેશે. અમેરિકાના સૈનિકોની અફઘાનિસ્તાનમાંથી રવાનગી બાદ તાલિબાનોનો અહીં દબદબો વધવાનો છે. પરંતુ પાકિસ્તાનની સેનાની મદદથી ભારતમાં કાશ્મીરમાં કથિત ગજવા-એ-હિંદની સ્થાપનાનો મનસૂબો પણ આ ક્ટ્ટરપંથીઓ ધરાવે છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત જાણકારી પ્રમાણે, વોશિંગ્ટનમાં સક્રિય વહાબી લોબીએ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર દબાણ બનાવીને તેમને એ વાત માટે રાજી કરી લીધા છે કે અમેરિકાનું વહીવટી તંત્ર કાબુલમાં તાલિબાનોના માર્ગને પ્રશસ્ત કરે. આ રણનીતિ પ્રમાણે જ અફઘાનિસ્તાનની શાંતિ પ્રક્રિયાની બહાલી માટેની વાટાઘાટોમાં તાલિબાનોને સામેલ કરવામાં આવ્યા હતા. બીજી તરફ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈના નવા પ્રમુખ લેફ્ટિનેન્ટ જનરલ ફૈઝ હમીદના નેતૃત્વમાં પાકિસ્તાન કાશ્મીરમાં આતંકવાદમાં નવો પ્રાણવાયુ ફૂંકવાનો બદઈરાદો ધરાવે છે. તેના માટે જ અફઘાનિસ્તાનમાં તાલિબાનને લઈને અમેરિકા સાથે ડીલ કરવામાં આવી છે. આ પ્રકારે તાલિબાન પાસે અફઘાનિસ્તાનમાં વધારે કરી રહેવાનું બાકી રહી જશે નહીં. બાદમાં તાલિબાનો કાશ્મીરમાં ઉતરીને આતંકવાદને ફરીથી બેઠો કરવાની કોશિશો કરશે.

તાજેતરમાં ગુપ્તચર સંસ્થાઓએ જેહાદીઓની વાતચીતને રેકોર્ડ કરી હતી. તેમાં તાલિબાન અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના સૈનિકોની રવાનગીથી ખાસા ઉત્સાહીત છે. અમેરિકાના આ પગલાને તેઓ પોતાની જીત ગણી રહ્યા છે. તેના પછી તેમના ઈરાદા કાશ્મીરમાં ગજવા-એ-હિંદની સ્થાપના કરવાનો છે. તાલિબાનોને આ બદઈરાદામાં જૈશ-એ-મોહમ્મદ અને લશ્કરે તૈયબાની પણ મદદ મળશે. તેના માટે જૈશ-એ-મોહમ્મદ અને લશ્કરે તૈયબાએ ભારતના મુખ્ય શહેરોમાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપવાનું ષડયંત્ર રચ્યું છે.

ગુપ્તચર જાણકારી પ્રમાણે, તાલિબાન સહીત જૈશ અને લશ્કરને રાવલપિંડી ખાતે પાકિસ્તાની સેનાના મુખ્યમથકથી નિર્દેશિત કરાય રહ્યા છે. અમેરિકા દ્વારા અફઘાનિસ્તાનમાં તાલિબાનોને ગુપચુપ રીતે ખુલ્લી છૂટ અપાયા બાદ તાલિબાનોની મદદથી આઈએસઆઈ અને પાકિસ્તાની સેના કાશ્મીરમાં સક્રિય થશે. જૈશ અને લશ્કરની મદદથી તાલિબાન રાજ્યમાં ગજવા-એ-હિંદની મૃગતૃષ્ણા માટે હિંસાનો ખેલ ખેલવાનો ઈરાદો ધરાવે છે. માટે પાકિસ્તાન તાલિબાનોને આગળ કરીને કાશ્મીરમાં આતંકવાદી હિંસાને વધારવાનો પ્લાન લાગુ કરવા માંગે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code