ભારતની રાજધાની નવી દિલ્હી ખાતેના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બુધવારે મોટી દુર્ઘટના ટળી હતી. અહીં એર ઈન્ડિયાના બોઈંગ વિમાનમાં અચાનક આગ લાગી હતી. તેના પછી આખી ફ્લાઈટમાં ધુમાડો છવાઈ ગયો હતો. સદભાગ્યે વિમાનમાં આગ લાગી ત્યારે તેનું સમારકામ ચાલી રહ્યું હતું અને તેમા કોઈ પ્રવાસી બેઠેલો ન હતો.
એર ઈન્ડિયાની આ ફ્લાઈટ બી777-200 એલઆર દિલ્હીથી અમેરિકાના સેન ફ્રાંસિસ્કો જઈ રહી હતી. જ્યારે એરપોર્ટ પર જ વિમાનનું સમારકામ ચાલી રહ્યું હતું, ત્યારે તેના પાછળના ભાગમાં આગ લાગી હતી. સમારકામ ચાલી રહ્યું હોવાને કારણે જ ફ્લાઈટમાં કોઈ પ્રવાસી બેઠેલા ન હતા.
સમારકામનું કામ થયા બાદ આ ફ્લાઈટ રવના થવાની હતી. પરંતુ અચાનક આગ લાગવાથી ફ્લાઈટને રદ્દ કરવી પડી છે. 25 એપ્રિલે જ રવાના થનારી ફ્લાઈટ હવે દશ વાગ્યાની આસપાસ રવાના થશે.
દુર્ઘટના બાદ એર ઈન્ડિયાએ નિવેદન પણ જાહેર કર્યું છે. કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે બુધવારે રાત્રે જ્યારે ઉડાણ પહેલા ઈઝનેરો રુટિન ચેકિંગ કરી રહ્યા હતા, ત્યારે તેના પાછળના ભાગમાં આગ લાગી હતી. આગ લાગ્યા બાદ ફ્લાઈટની સંપૂર્ણ ચકાસણી કરવામાં આવી છે.
મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં ફ્લાઈટ અથવા રેલવેમાં થયેલી દુર્ઘટનાઓના ઘણાં મામલા સામે આવ્યા છે. તેના કારણે દરેક લોકો આશ્ચર્યચકિત છે.
બોઈંગના વિમાનોને લઈને તાજેતરમાં ઘણી ઘટનાઓ માત્ર ભારતમાં જ નહીં, પણ આખી દુનિયામાં સામે આવી છે. ઈથોપિયામાંથયેલી એક વિમાન દુર્ઘટનામાં ઘણાં લોકોએ જીવ ગુમાવ્યા હતા. બાદમાં દુનિયામાં બોઈંગ વિમાનોને લઈને એલર્ટ છે. ચીન, ઈથોપિયા, સિંગાપુર સહીત દુનિયાના ઘણાં મોટા દેશોએ બોઈંગની સેવાઓ પર પ્રતિબંધ પણ લગાવ્યો હતો.