![લોકસભા ચૂંટણી 2019: મુરાદાબાદ સીટ પરથી BJPના ઉમેદવારને જીતનો ભરોસો નહીં, મુસ્લિમ વોટ્સને આપ્યો દોષ](https://hindi.revoi.in/wp-content/uploads/2019/04/Sarvesh-Kumar-Singh.jpg)
લોકસભા ચૂંટણી 2019: મુરાદાબાદ સીટ પરથી BJPના ઉમેદવારને જીતનો ભરોસો નહીં, મુસ્લિમ વોટ્સને આપ્યો દોષ
ઉત્તરપ્રદેશની મુરાદાબાદ સીટ પરથી ભાજપના ઉમેદવાર કુંવર સર્વેશકુમાર સિંહે ચૂંટણી પહેલા જ લગભગ પોતાની હાર માની લીધી છે. ભાજપ ઉમેદવારનું કહેવું છે કે મુસ્લિમ વોટ્સ એક થઇ જવાને કારણે આ વખતે તેમના માટે સીટ બચાવવી મુશ્કેલ છે. ઉલ્લેખનીય છે કે બીજેપીએ વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં મોદી લહેરના કારણે મુરાદાબાદ સીટ પરથી જીત હાંસલ કરી હતી. જોકે આ વખતે સ્થિતિ ઉલટી જોવા મળી રહી છે.
![](https://148.72.41.190/wp-content/uploads/2019/04/Sarvesh-Kumar-Singh.jpg)
ભાજપે મુરાદાબાદ લોકસભા સીટ પર વર્તમાન સાંસદ સર્વેશકુમાર સિંહને જ એકવાર ફરી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. મુરાદાબાદમાં ત્રીજા તબક્કા હેઠળ 23 એપ્રિલના રોજ મતદાન થશે. ભાજપ ઉમેદવારે ન્યુઝ એજન્સી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તેઓ મુરાદાબાદથી ફરી એકવાર સાંસદ તરીકે ચૂંટાવા મામલે નિશ્ચિંત નથી. તેમણે કહ્યું કે ચૂંટણી આ વખતે મુશ્કેલ બનશે. મુસ્લિમ વોટ્સ વહેંચી શકાય એમ નથી. કુંવર સર્વેશકુમારે એ પણ જણાવ્યું કે આ વખતે અહીંયા ચૂંટણી ભાજપ વિરુદ્ધ કોંગ્રેસ છે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે મુરાદાબાદમાં ઇમરાન પ્રતાપગઢીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે સપા-બસપા-રાલોદના ગઠબંધને એસટી હસનને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસ અને ગઠબંધનના ઉમેદવારો મુસ્લિમ છે, ત્યારે મુસ્લિમ વોટ્સ વહેંચાવાની અટકળો લગાવવામાં આવી રહી છે. પરંતુ હવે જણાવવામાં આવી રહ્યું છે કે મુરાદાબાદના મુસ્લિમ મતદાતાઓએ હજુ સુધી એ નક્કી નથી કર્યું કે તેઓ કોનું સમર્થન કરશે. પરંતુ, મળતી માહિતી પરથી એ વાત સામે આવી રહી છે કે મુરાદાબાદના મુસ્લિમ વોટર્સ વોટ્સ વહેંચવાના બિલકુલ મૂડમાં નથી અને તેઓ જ્યાં પણ વોટ્સ આપશે ત્યાં એકમત થઈને વોટ આપશે જેથી તેમનું સમર્થન નિર્ણાયક સાબિત થઈ શકે.
મુરાદાબાદમાં મુસ્લિમો ઉપરાંત જાટવ પણ 9 ટકાની આસપાસ છે અને પારંપરિક રીતે બસપાના વોટર્સ માનવામાં આવે છે. મુરાદાબાદ લોકસભા સીટમાં મુસ્લિમ વોટબેન્ક ઘણી પ્રભાવશાળી અને લોકસભાની કુલ જનસંખ્યાનો 47 ટકા હિસ્સો મુસ્લિમ સમુદાયનો છે. આ જ કારણ છે કે મુસ્લિમ વોટબેન્ક એક થઈ જવાને કારણે ભાજપની આશા ધૂંધળી દેખાઈ રહી છે. જોકે બીજેપીના ઉમેદવાર કુંવર સર્વેશસિંહ તે વિસ્તારના પ્રભાવશાળી નેતા માનવામાં આવે છે અને ભૂતકાળમાં મુરાદાબાદ લોકસભા હેઠળ આવતી ઠાકુરદ્વારા વિધાનસભા સીટથી 5 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. 2014માં મુરાદાબાદથી સાંસદ બન્યા અને હવે તેમનો દીકરો પણ બરહાપુરથી ધારાસભ્ય છે.