બિહાર: PM Cares ફંડમાંથી DRDO પટના-મુઝફ્ફરપુરમાં બનાવશે કોવિડ હોસ્પિટલ

  • દેશમાં કોરોના વાયરસના સંક્રમણમાં સ્ફોટક ગતિએ વધારો
  • કોરોનાની સારવાર માટે વધુ હોસ્પિટલની આવશ્યકતા
  • સરકારે પટના અને મુઝફ્ફરપુરમાં હોસ્પિટલ બનાવવા આપી મંજૂરી
દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપી ગતિએ વધી રહ્યું છે ત્યારે તેની સારવાર માટે વધુ હોસ્પિટલની આવશ્યકતા છે ત્યારે કેન્દ્ર સરકાર પીએમ કેર્સ ફંડમાંથી કોરોનો હૉસ્પિટલનું નિર્માણ કરી રહી છે. સરકાર દ્વારા આ માટેની કવાયત તેજ કરવામાં આવી છે. કોરોના મહામારી વચ્ચે હોસ્પિટલની અછતનો સામનો કરી રહેલા બિહારમાં કેન્દ્ર સરકાર બે કોરોના હોસ્પિટલ બનાવવા જઇ રહી છે. 500 બેડ ધરાવતી આ હોસ્પિટલ પટના અને મુઝફ્ફરપુરમાં ઊભી કરવામાં આવશે.

પ્રાપ્ત અહેવાલો અનુસાર બિહારમાં 1.22 લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થઇ ચૂક્યા છે. બિહારમાં સ્વાસ્થ્ય સેવાઓની સ્થિતિ કથળેલી છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે પીએમ કેર્સ ફંડથી બિહારમાં હવે બે કોવિડ હોસ્પિટલ બનાવવાને લીલી ઝંડી આપી છે.
બિહારમાં હોસ્પિટલના નિર્માણ કાર્યની જવાબદારી ડીઆરડીઓને સોંપવામાં આવી છે. પટના અને મુઝફ્ફરપુરમાં આ હોસ્પિટલ ઊભી કરાશે અને બંનેમાં 500 બેડની વ્યવસ્થા હશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બિહારમાં છેલ્લા 24 કલાક દરમિયાન વધુ 9 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે. બિહારમાં કુલ મૃતકાંક 610 થઇ ચૂક્યો છે. રાજ્યમાં અત્યારસુધી 1,22,156 લોકો કોરોનાથી સંક્રમિત છે.

(સંકેત)

 
RELATED ARTICLES

Most Popular