સુરતમાં ONGCની ગેસ પાઈપલાઈનમાં લીકેજ બાદ થયો બ્લાસ્ટ, સદનસીબે મોટી દૂર્ઘટના ટળી

અમદાવાદઃ સુરતના હજીરામાં ONGCના પ્લાન્ટમાં મેઈન પાઈપલાઈનમાં લીકેજના પગલે વહેલી સવારે એક પછી એક એમ ત્રણ બ્લાસ્ટ થયા હતા અને ભિષણ આગ લાગી હતી. જો કે, સદનસીબે આ દૂર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ આસપાસમાં આવેલા મકાનના બારીઓના કાચ તૂટી ગયા હતા. આ બનાવની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર હજીરામાં ONGCના પ્લાન્ટમાં ગેસ લીકેજને પગલે ત્રણ બ્લાસ્ટ થયા હતા. ત્યાર બાદ અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. બીજી તરફ બ્લાસ્ટના પગલે આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાં પણ ફફટાડ ફેલાઈ ગયો હતો. તેમજ બ્લાસ્ટની તિવ્રતા એટલી હતી કે, આસપાસના મકાનના બારીના કાચ પણ તૂટી ગયા હતા. આ દૂર્ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકત્ર થઈ ગયા હતા. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ આગ ઉપર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો.

હાઈડ્રો કાર્બન ગેસ લીકેજ થતા આ દૂર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. બીજી તરફ મુંબઈ હાઈ લાઈન હાલ બંધ કરી દેવાઈ હતી. આ ઉપરાંત સુરક્ષાને ધ્યાનમાં રાખતા મગદલ્લા ચોકડીથી ઈચ્છાપોર ચોકડી સુધીના અવરજવરના હાઇવેના રસ્તાઓ બંધ કરાયા હતા. દુર્ઘટના સ્થળેથી પણ લગભગ તમામ કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. દરમિયાન ONGC દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું હતું કે, આગ કાબૂમાં છે અને કોઈ જાનહાનિ થઈ નથી.

RELATED ARTICLES

Most Popular