આર્મી ચીફની લદ્દાખ મુલાકાત, કહ્યું – LAC પર સ્થિતિ થોડી ગંભીર છે

  • ભારત-ચીનની વચ્ચે ઘર્ષણ વચ્ચે સેના પ્રમુખે લદ્દાખની મુલાકાત લીધી
  • LAC પર સ્થિતિ ગંભીર અને નાજુક છે: સેના પ્રમુખ
  • વાર્તાના માધ્યમથી ચીન સાથેના મતભેદો દૂર કરાશે

ભારત અને ચીનની વચ્ચે ઘર્ષણ વચ્ચે સેના પ્રમુખ મનોજ મુકુંદ નરવણેએ લદ્દાખની મુલાકાત લીધી હતી. લદ્દાખના બે દિવસીય પ્રવાસ પર ગયેલા સેના પ્રમુખે કહ્યું હતું કે, વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે LAC પર સ્થિતિ ગંભીર અને નાજુક છે. LAC પર સ્થિતિ થોડી તણાવપૂર્ણ છે. આપણી સુરક્ષા અને અખંડતા સુરક્ષિત રહે તે માટે ભારતીય સેના સાવધાની સાથે તૈનાત છે.

તેમણે LAC પરની સ્થિતિને લઇને વધુમાં કહ્યું હતું કે, ગત 2-3 મહિનાથી સ્થિતિ તણાવપૂર્ણ છે પરંતુ અમે ચીન સાથે સૈન્ય અને રાજનૈતિક રીતે એમ બંને સ્તરે સતત વાતચીત કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ આ વાતચીત ચાલુ રહેશે. આ વાર્તાના માધ્યમથી દરેક મતભેદો દૂર થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. અમે તે પણ સુનિશ્વિત કરી રહ્યા છીએ કે યથાસ્થિતિ ના બદલાય અને અમે અમારા હિતોની રક્ષા કરવા માટે સક્ષમ રહીએ.

સૈન્યની તૈયારી વિશે વાત કરતા કહ્યું હતું કે, જવાનોનું મનોબળ ઊંચું છે અને તે કોઇપણ સ્થિતિમાં પોતાનું શ્રેષ્ઠ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. હું ફરી એકવાર કહેવા માંગીશ કે અમારા અધિકારી અને જવાનો દુનિયાના સૌથી શ્રેષ્ઠ જવાનો છે અને તે ખાલી સેના જ નહીં પણ દેશને પણ ગૌરવાન્વિત કરશે.

મહત્વનું છે કે, સેના પ્રમુખ નરવણેએ લેહ પહોંચ્યા પછી વિવિધ સ્થળોની મુલાકાત લઇને સ્થિતિનો તાગ મેળવ્યો હતો તેમજ અધિકારીઓ સાથે પણ વાતચીત કરી હતી.

(સંકેત)

RELATED ARTICLES

Most Popular