1. Home
  2. revoinews
  3. માઈનિંગ ગોટાળામાં બુલંદશહરના ડીએમના ઘરે સીબીઆઈનો દરોડો, નોટો ગણવા મંગાવાયું મશીન
માઈનિંગ ગોટાળામાં બુલંદશહરના ડીએમના ઘરે સીબીઆઈનો દરોડો, નોટો ગણવા મંગાવાયું મશીન

માઈનિંગ ગોટાળામાં બુલંદશહરના ડીએમના ઘરે સીબીઆઈનો દરોડો, નોટો ગણવા મંગાવાયું મશીન

0
Social Share

લખનૌ: યુપીના બહુચર્ચિત ખનન ગોટાળાના મામલામાં સીબીઆઈએ ગુરુવારે દરોડાની કાર્યવાહી કરી હતી. આ દરોડા બુલંદશહરના ડીએમ અભયકુમાર સિંહના મકાન પર પાડવામાં આવ્યા છે. માઈનિંગ ગોટાળાના મામલામાં અભયકુમાર સિંહ પણ રડાર પર હતા. તેવામાં સીબીઆઈએ હવે કાર્યવાહી કરી છે. જણાવવામાં આવે છે કે આ મામલો ત્યારનો છે કે જ્યારે રાજ્યમાં સમાજવાદી પાર્ટીની સરકાર હતી અને અખિલેશ યાદવ રાજ્યના મુખ્યપ્રધાન હતા.

ડીએમના મકાન પર થયેલી દરોડાની કાર્યવાહીમાં મોટી સંખ્યામાં નોટ જપ્ત થવાના અહેવાલ છે. તેના કારણે સીબીઆઈની ટીમે હવે નોટ ગણવાનું મશીન પણ મંગાવ્યું છે. સીબીઆઈની ટીમ બુલંદશહેરના ડીએમના ઘરે પુરી તૈયારી સાથે દરોડા મારવા ગઈ હતી. તે વખતે ચાર ગાડીઓ ત્યાં પહોંચી હતી. તેમાંથી બે ગાડીઓ જરૂરી દસ્તાવેજો પોતાની સાથે લઈ ગઈ છે. હજી પણ બે ગાડીઓ મકાનના પરિસરમાં છે અને પૂછપરછ ચાલી રહી છે.

ગેરકાયદેસર માઈનિંગનો મામલો 2012થી 2016 વચ્ચેનો છે. તે સમયે રાજ્યમાં સમાજવાદી પાર્ટીની સરકાર હતી. ત્યારે ખનન મંત્રાલયની જવાબદારી ખુદ તત્કાલિન મુખ્યપ્રધાન અખિલેશ યાદવ જ સંભાળતા હતા. તેવામાં તેમના ઉપર પણ સતત સવાલ ઉઠતા રહ્યા છે.

અભય સિંહ, સપ્ટેમ્બર-2013થી લઈને જૂન – 2014 સુધી ફતેહપુરના ડીએમ રહી ચુક્યા છે. અભયકુમાર સિંહ 2007ની બેચના યુપી કેડરના આઈએએસ છે. તેઓ બુલંદશહર સિવાય ફતેહપુર, રાયબરેલી અને બહરાઈચના પણ ડીએમ રહી ચુક્યા છે.

સૂત્રોનું માનીએ તો 2012 અને 2016 વચ્ચે કુલ 22 ટેન્ડરો પાસ કરવામાં આવ્યા હતા, તે વિવાદમાં આવ્યા. આ 22માંથી 14 ટેન્ડર ત્યારે પાસ કરવામાં આવ્યા હતા, જ્યારે ખનન મંત્રાલય અખિલેશ યાદવની પાસે જ હતું. બાકીના મામલા ગાયત્રી પ્રજાપતિના કાર્યકાળના છે.

હવે એજન્સીઓનું માનવું છે કે અખિલેશ યાદવ અને ગાયત્રી પ્રજાપતિની મંજૂરી બાદ જ તેને લીઝ પર આપવામાં આવ્યા હતા, કારણ કે પાંચ લાખથી ઉપરનો કોઈપણ મામલો હોય, તેના માટે મુખ્યપ્રધાનની મંજૂરી જરૂરી છે. તેના પહેલા જૂનમાં આ મામલામાં સીબીઆઈએ ગાયત્રી પ્રજાપતિના મકાન પર પણ તપાસ કરી હતી.

આ માલામાં સીબીઆઈ ઘણી સક્રિય છે અને દેશના અલગ-અલગ વિસ્તારોમાં દરોડાની કાર્યવાહી કરી ચુકી છે. જેમાં ગાયત્રી પ્રજાપતિ સિવાય આઈએએસ અધિકારી બી. એસ. ચંદ્રકલાના ઘર પર પણ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. બી. એસ. ચંદ્રકલા બિજનૌર અને મેરઠના ડીએમ પણ રહી ચુક્યા છે.

મહત્વપૂર્ણ છે કે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ બાદ જ સીબીઆઈ આ મામલાની તપાસ કરી રહી છે. હાઈકોર્ટે જાહેરહિતની અરજીઓના દાખલ થયા બાદ આ મામલામાં તપાસનો આદેશ આપ્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code