Site icon Revoi.in

એસ.ટી. નિગમનો મહત્વપૂર્ણ નિર્ણય: બી.એસ-6 મોડલની નવી 1000 બસો સંચાલનમાં મૂકાશે

Social Share

અમદાવાદ: દેશમાં સતત વધી રહેલા વાયુ પ્રદૂષણને ડામવા માટે હવે એસ.ટી.નિગમ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. એસ.ટી.નિગમે દેશભરમાં પ્રથમ એવી બીએસ 6 મોડલની નવી 1000 બસો ખરીદીને ઇનહાઉસ બોડી બિલ્ડિંગ કરીને ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં રોડ પર સંચાલનમાં મૂકી દેવાનો નિર્ણય લીધો છે. તે ઉપરાંત 50 ઇલેક્ટ્રિક બસો ભાડે રાખીને અમદાવાદ-ગાંધીનગર, અમદાવાદ-વડોદરા અને રાજકોટ-જામનગર વચ્ચે દોડાવાશે.

આ અંગે એસ.ટી.નિગમના મેનેજિંગ ડાયરેક્ટર એચ.જે.હૈદર અનુસાર વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે એપ્રિલ 2020માં એમિસન નોર્મ્સ નક્કી કરાયા છે તેના આધારે BS-6 મોડલની બસો ખરીદવી ફરજીયાત છે. રાજ્ય સરકારે ગત જુલાઇ માસમાં જ તેની મંજૂરી આપીને રાજ્યમાં આ મોડલની નવી 1000 બસો ખરીદવાની મંજૂરી આપી છે.

આ નવી બસો માટે કુલ 240 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ સંદર્ભે સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ એવું રાજ્ય બનશે જ્યાં હવે આ મોડલની બસો રોડ પર દોડતી જોવા મળશે. બસોના ચેસીસ ખરીદીને બસબોડી નરોડાના વર્કશોપમાં જ બનાવવામાં આવશે.

પ્રદૂષણ ઘટાડવા હેતુસર લેવાયેલા બીજા મહત્વના નિર્ણયોમાં એસ.ટી.નિગમ સૌપ્રથમવાર ઇલેક્ટ્રિક બસો સંચાલનમાં મૂકશે. જેમાં બસો ભાડેથી લઇને સંચાલનમાં મૂકાશે તેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઇ ગઇ છે. પ્રવર્તમાન નાણાકીય વર્ષના અંત સુધીમાં બસો રોડ પર દોડતી થઇ જશે. સ્ટેટ ટ્રાન્સપોર્ટમાં ઇલેક્ટ્રિક બસો સંચાલનમાં મૂકવામાં ગુજરાત રાજ્ય દેશમાં પ્રથમ બનશે.

આ ઇલેક્ટ્રિક બસો માટે જે તે રૂટ પર પુરતા ચાર્જિંગ સ્ટેશનની વ્યવસ્થા ગોઠવવાની કામગીરી હાથ ધરાઇ છે. મેનેજીંગ ડાયરેક્ટર અનુસાર એસ.ટી.નિગમની કાયાપલટ કરવાની કવાયત પણ હાથ ધરાઇ છે. લોકડાઉન દરમિયાન એસ.ટી.નિગમે 24,000 ટ્રિપ મારફતે 7 લાખ પરપ્રાંતિય મજૂરોને તેમના વતન પહોંચાડ્યા છે.

(સંકેત)