‘આત્મનિર્ભર ભારત યોજના’ના 20 લાખ કરોડ આ રીતે ખર્ચાઇ રહ્યા છે, નાણાં મંત્રાલયે આપી વિગતો

  • સરકારે કોરોના કાળમાં અર્થતંત્રને વેગવંતુ બનાવવા આત્મનિર્ભર પેકેજની કરી હતી જાહેરાત
  • આ નાણાં કઇ રીતે, ક્યાં ખર્ચાઇ રહ્યા છે તે અંગે નાણાં મંત્રાલયે આપી જાણકારી
  • 11 સપ્ટેમ્બર સુધીમાં 10,590 કરોડની 37 દરખાસ્તોને અપાઇ મંજૂરી: નાણાં મંત્રાલય

કોરોનાના કાળ દરમિયાન દેશના અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે ત્યારે અર્થતંત્રને વેગવંતુ બનાવવા માટે સરકારે 20 લાખ કરોડના આત્મનિર્ભર ભારત પેકેજની જાહેરાત કરી હતી. આ પેકેજના નાણાં કઇ રીતે ખર્ચાઇ રહ્યા છે તેને સંબંધિત દરેક જાણકારી નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આપી હતી. નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે આત્મનિર્ભર ભારત પેકેજ હેઠળની ખાસ લિક્વિડિટી યોજનાએ સારી પ્રગતિ કરી છે. આ યોજનાના નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ, હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ અને મોનેટરી ફાઇનાન્સિયલ ઇન્સ્ટીટ્યૂશન માટે લવાઇ છે.

નાણા મંત્રાલય અનુસાર 11 સપ્ટેમ્બર સુધીમાં 10,590 કરોડની 37 દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે 6 અરજીઓ વિચારણા હેઠળ છે, જે લગભગ 783.5 કરોડની છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર જાહેર ક્ષેત્રની બેંકો અને ટોચની 23 ખાનગી બેંકો દ્વારા પણ કેટલાક આંકડા આપવામાં આવ્યા છે. આ બેંકોના જણાવ્યા અનુસાર, ઇમરજન્સી ક્રેડિટ સુવિધા ગેરેંટી સ્કીમ (ઇસીએલજીએસ) હેઠળ 10 સપ્ટેમ્બર સુધીમાં 42,01,576 યુનિટને રૂ.1,63,226.49 કરોડની વધારાની ક્રેડિટ આપવાની મંજૂરી આપવામાં આવી છે, તેમાંથી 25,01,999 એકમોને 1,18,138.64 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે.

આ યોજના અંતર્ગત 10 સપ્ટેમ્બર સુધી 25 લાખ MSMEને 1.18 લાખ કરોડ રૂપિયાની લોનનું વિતરણ કરવામાં આવ્યું છે. કોવિડ-19ના સંક્રમણને રોકવા માટે લાગુ કરાયેલા લોકડાઉનથી MSME એકમો ખરાબ રીતે અસર પામ્યા છે. આ યોજના નાણાંમંત્રી નિર્મલા સીતારમણ દ્વારા મે મહિનામાં જાહેર કરાયેલા 20 લાખ કરોડના આત્મનિર્ભર ભારત અભિયાન પેકેજનો સૌથી મોટો હિસ્સો છે.

નાણાં મંત્રાલયે અમલમાં મૂકેલી અન્ય યોજનાઓની વિગતો અનુસાર, બેંકોએ નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ, હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ અને માઇક્રો ફાઇનાન્સ કંપનીઓ માટે 45,000 કરોડ રૂપિયાની આશિંક લોન ગેરંટી યોજના 2.0 હેઠળ 25,055 કરોડના પોર્ટફોલિયોની ખરીદી માટે મંજૂરી આપી છે.

(સંકેત)

RELATED ARTICLES

Most Popular