Site icon Revoi.in

સાર્કની બેઠકમાં ભારતના વિદેશ પ્રધાન જયશંકરની સ્પષ્ટતા, સીમા પારનો આતંકવાદ મુખ્ય સમસ્યા

Social Share

કોરોનાની મહામારી વચ્ચે ગુરુવારે સાર્કના વિદેશ મંત્રીઓની એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓ પણ સહભાગી થયા હતા.

આ બેઠક પૂર્ણ થયા બાદ ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે જણાવ્યું હતું કે આજે સાર્કના વિદેશ મંત્રીઓની બેઠકને સંબોધવાની તક સાંપડી હતી. પાડોશી તરીકે ભારતની સૌ પ્રથમ પ્રતિબદ્વતા દક્ષિણ એશિયાને સંગઠિત, સહકારયુક્ત, સુરક્ષિત અને સમૃદ્વ બનાવવાની હતી.

દરેક પાડોશી દેશોને મુશ્કેલીના સમયમાં ભારતે સહાય પૂરી પાડી છે. ભારતે હંમેશા પાડોશી દેશોને સહાય પૂરી પાડવાની નીતિ અપનાવી છે. ભારતે માલદીવને 150 મિલિયન અમેરિકી ડોલર, ભૂતાનને 200 મિલિયન અમેરિકી ડોલર્સ  અને શ્રીલંકાને ચાલુ વર્ષમાં 400 મિલિયન અમેરિકી ડોલર્સની મદદ કરી હતી.

સાર્કના વિદેશ પ્રધાનોની આ બેઠકમાં જયશંકરે પાકિસ્તાનની પરોક્ષ રીતે ટીકા કરી. તેમણે કહ્યું કે સીમા પારના આતંકવાદને નષ્ટ કરવો અને સંપર્કના માર્ગમાં રહેલા અવરોધો દૂર કરવા અને પરસ્પર વ્યાપાર-વ્યવહારનું સંકલન કરવું એ ત્રણ સાર્ક સમક્ષના સૌથી મોટા પડકારો હતા. આ પડકારો સિદ્ધ કરવા સાર્કના તમામ દેશોએ સંગઠિત રીતે પગલાં લેવાં પડશે. આ ત્રણ પડકારોને પહોંચી વળીએ ત્યારેજ સાઉથ એશિયામાં કાયમી શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષિતતા સ્થપાશે.

નોંધનીય છે કે આ વખતની સાર્કના વિદેશ પ્રધાનોની બેઠકમાં પાકિસ્તાનના વિદેશ ખાતાએ ગયા વખતની જેમ બેઠકોની પાછળ કોઇ નકશો લગાડ્યો નહોતો. છેલ્લી બેઠકમાં પાકિસ્તાને ભારતના કેટલાક વિસ્તારો પોતાના હોય એવું દેખાડતો બનાવટી નકશો બેકગ્રાઉન્ડમાં લગાડ્યો હતો.

(સંકેત)