ચૂંટણીપંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરીને પ્રથમ દ્રષ્ટિએ આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા માટે કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુને શુક્રવારે એક નવી શોકોઝ નોટિસ જાહેર કરી છે. સિદ્ધુને જવાબ આપવા માટે એક દિવસનો સમય આપવામાં આવ્યો છે. ચૂંટણીપંચને ભાજપ તરફથી ફરિયાદ મળી હતી કે સિદ્ધુએ 29 એપ્રિલના રોજ મધ્યપ્રદેશમાં એક ચૂંટણીરેલી દરમિયાન વડાપ્રધાન મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી.
તેમણે વડાપ્રધાન પર રાફેલ વિમાન સોદામાં પૈસા મેળવવાનો આરોપ લગાવ્યો હતો. સિદ્ધુએ તેની સાથે જ મોદી પર એ પણ આરોપ લગાવ્યો હતો કે તેમણે અમીરોને રાષ્ટ્રીયકૃત બેંકોને લૂંટ્યા પછી દેશમાંથી ભાગી જવાની પરવાનગી આપી. ઉલ્લેખનીય છે કે એપ્રિલમાં ચૂંટણીપંચે સિદ્ધુ પર 72 કલાક સુધી પ્રચાર કરવા પર રોક લગાવી હતી.
જોકે ચૂંટણીપંચની નોટિસ પછી પણ નવજોતસિંહ સિદ્ધુ વિવાદાસ્પદ નિવેદનો આપવાનું બંધ નથી કરતા. આજે ફરી તેમણે ઇંદોરની એક રેલીમાં મોદી પર વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે મોદી એ નવી નવેલી દુલ્હન જેવા છે જે રોટલીઓ ઓછી વણે છે અને બંગડીઓ વધુ રણકાવે છે.