લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન પછી હવે કોંગ્રેસે પોતાના પ્રવક્તાઓને એક મહિના સુધી ટીવી ડિબેટમાં નહીં જવાનો આદેશ આપ્યો છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. સુરજેવાલાએ ગુરૂવારે સવારે ટ્વિટમાં લખ્યું, ‘કોંગ્રેસે નિર્ણય કર્યો છે કે તેઓ પોતાના પ્રવક્તાને એક મહિના સુધી કોઈ પણ ટીવી ડિબેટમાં નહીં મોકલે. તમામ મીડિયા ચેનલ્સ અને એડિટર્સને નિવેદન છે કે તેઓ કોંગ્રેસના કોઇપણ નેતાને તેમના શૉમાં સામેલ ન કરે.’
લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે 542માંથી 52 સીટ્સ પર જીત નોંધાવી છે. જ્યારે યુપીએને 96 સીટ્સ મળી છે. કોંગ્રેસને વિપક્ષમાં બેસવા માટે હજુ પણ 3 સીટ્સની જરૂર છે. પરંપરા પ્રમાણે, વિપક્ષના નેતાનું પદ સૌથી મોટા વિપક્ષીય દળના નેતાને મળી શકે છે, પરંતુ તે દળની લોકસભામાં 10% સીટ્સ એટલેકે ઓછામાં ઓછી 55 સીટ્સ હોવી જરૂરી છે.