Site icon Revoi.in

અમેઠી માટે એક નવી સવાર, નવો સંકલ્પ છે: સ્મૃતિ ઇરાની

Social Share

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને તેમના જ હોમ ગ્રાઉન્ડ અમેઠીમાં પછાડીને વિજયી બનેલા કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે, અમેઠી માટે આ એક નવી સવાર છે.

ટ્વિટર પર સ્મૃતિ ઇરાનીએ તેમની ટ્વિટમાં લખ્યું, ‘અમેઠી માટે આ એક નવી સવાર છે, નવો સંકલ્પ છે. અમેઠીનો આભાર અને તેમને મારા પ્રણામ. તમે વિકાસમાં તમારો વિશ્વાસ મૂક્યો અને કમળનું ફૂલ ખિલવ્યું. અમેઠીની જનતાની ખૂબ આભારી છું.’

ન્યુઝ એજન્સી સાથેની વાતચીતમાં સ્મૃતિએ જણાવ્યું કે, એક બાજુ એક પરિવાર હતો જ્યારે બીજી બાજુએ એક સંસ્થા છે જે પરિવાર તરીકે કામ કરે છે. આ સફળતાનો શ્રેય સંસ્થા અને તેના કાર્યકર્તાઓને જાય છે. સાથે જ તે કાર્યકર્તાઓને પણ આ શ્રેય જાય છે જેમણે કેરળ અને બંગાળમાં જીવ ગુમાવ્યા છે. હું મારી આ જીતને તેમના પરિવારજનોને અર્પણ કરું છું.

ઉલ્લેખનીય છે કે, સ્મૃતિ ઇરાનીએ અમેઠી લોકસભા સીટ પર 55,120 મતોની સરસાઈથી જીત મેળવી છે. સ્મૃતિને કુલ 4,67,598 વોટ્સ મળ્યા.

વર્ષોથી અમેઠી કોંગ્રેસ પાર્ટીનો ગઢ કહેવાય છે. ગાંધી પરિવાર આ સીટ પર 2004થી જીતતો આવ્યો છે. 2014ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીનું ખરાબ પ્રદર્શન હોવા છતાંપણ રાહુલ ગાંધીએ આ સીટ પર સ્મૃતિ ઇરાનીને ત્યારે 1,07,907 વોટ્સથી હરાવ્યા હતા.