Site icon Revoi.in

હવે CISF સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સુરક્ષા વ્યવસ્થા સંભાળશે

Social Share

વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને આગામી 31મી ઓક્ટોબરના રોજ ત્રણ વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યા છે. દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સુરક્ષા વ્યવસ્થા હવે CISFને સોંપવામાં આવનાર છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સીઆઇએસએફના ડિપ્લોયમેન્ટને મંજૂરી આપી દેવામાં આવી છે.

કોરોના લોકડાઉન દરમિયાન મોટા ભાગના પ્રવાસન સ્થળો બંધ રાખવામાં આવ્યા હતા ત્યારે હવે અનલોક 3.0 દરમિયાન આપવામાં આવેલી છૂટછાટ દરમિયાન આ પ્રવાસન સ્થળને પ્રતિબંધિત હુકમો સાથે ટૂંક સમયમાં ખૂલ્લૂ મૂકવામાં આવે તે અંગેની કવાયત હાથ ધરવામાં આવી છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીને 3 વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યા છે ત્યારે પીએમ મોદી પણ કેવડિયા ખાતે ઉપસ્થિત રહેશે તેવી સંભાવના છે. તે માટેની પૂર્વ તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની સુરક્ષા વ્યવસ્થા આગામી તારીખ ૧લી સપ્ટેમ્બરથી સીઆઇએસએફના હવાલે કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા મંજૂરી અપાય બાદ સુરક્ષાનો હવાલો એસઆરપીએફ અને સ્થાનિક પોલીસ પાસેથી લઇને સીઆરપીએફ સંભાળશે. જેના ભાગરૂપે આવતીકાલે તારીખ ૧૭મી ઓગષ્ટથી સીઆરપીએફની ટીમનું વિધિવત આગમન શરૂ થશે.

મહત્વનું છે કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સંવેદનશિલતા અને મહત્વને જોતા ગૃહ મંત્રી અને ગૃહ મંત્રાલયે CISFના ડિપ્લોયમેન્ટને મંજૂર આપી છે. તેના માટે કોલોની, મેડિકલ ફેસિલિટી, ઓફિસ અને વાહનો સહિતની સુવિધાઓ તૈયાર કરી દેવામાં આવી છે. બહુ જલ્દી ડિપ્લોયમેન્ટ સેરેમની કરવામાં આવશે પછી ઔપચારીક રીતે સીઆઇએસએફ  સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું હેન્ડ ઓવર લઇ લેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૨૭૦ જવાનો તૈનાત થશે. અને આસપાસના સરદાર સરોવર ડેમ સહિતના સ્થળોએ એસઆરપી તૈનાત રહેશે.

(સંકેત)