હિંદુવાદી દેખાવાના દિગ્વિજયસિંહના હવાતિયાં, ભોપાલમાં કોંગ્રેસ ઉમેદવારનો વોટ માટેનો રોડ શૉ ભગવા રંગે રંગાયો
ભોપાલ: લોકસભાના છઠ્ઠા તબક્કાની સૌથી વધુ હૉટ સીટ ગણાતી ભોપાલ લોકસભા બેઠક પર ચૂંટણી પ્રચાર અભિયાન એક રાજકીય દંગલથી ઓછું નથી. કોંગ્રેસના ચાણક્ય ગણાતા અને ભોપાલ બેઠક પરથી ઉમેદવાર દિગ્વિજય સિંહનો મુકાબલો માલેગાંવ બ્લાસ્ટના આરોપી અને પ્રખર હિંદુત્વવાદી છબી ધરાવતા સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરની સામે છે. ભોપાલ બેઠક પરથી સાધ્વી પ્રજ્ઞા ભાજપના ઉમેદવાર છે. દિગ્વિજય સિંહ આ ચૂંટણી જીતવા માટે સાધુ-સંતોને પણ સાથે લઈ રહ્યા છે. ભોપાલમાં દિગ્વિજયસિંહ સાધુઓને સાથે લઈને રોડ શો પણ કરી રહ્યા છે. પરંતુ રોડ શોની એક એવી તસવીર સામે આવી છે કે જેના કારણે ભગવા આતંક અથવા હિંદુ ટેરરની વાત કરનાર કોંગ્રેસ અને દિગ્વિજયસિંહનું એક અલગ રૂપ સામે આવ્યું છે. રોડ શોની સુરક્ષામાં લાગેલા પોલીસ કર્મચારીઓને સાદી વર્દીમાં તેનાત કરવામાં આવ્યા છે, તેની સાથે જ ભગવા ઉપરણા પણ તેમને પહેરાવામાં આવ્યા છે.
![](https://www.revoi.in/wp-content/uploads/2019/05/bhopal-road-show-diggi1.jpg)
દિગ્વિજયસિંહના ટેકામાં કોમ્પ્યુટર બાબા રોડ શૉ કરી રહ્યા છે. આ રોડ શૉમાં પોલીસ કર્મચારીઓને સિવિલ વર્દીમાં તેના કરવામાં આવ્યા છે. મહિલા પોલીસકર્મીઓની પણ મોટી સંખ્યામાં તેનાતી કરવામાં આવી છે. તે વખતે કેટલીક મહિલા પોલીસકર્મીઓએ જ્યારે ભગવા ઉપરણા સંદર્ભે પુછવામાં આવેલા સવાલના જવાબમાં કહ્યુ છેકે તેમને કહેવામાં આવ્યું છે કે રોડ શૉ દરમિયાને તેને પહેરી રાખે.
મહત્વપૂર્ણ છે કે ભોપાલ લોકસભા બેઠક પર 12મી મેના રોજ વોટિંગ થવાનું છે. કોંગ્રેસના દિગ્વિજયસિંહની સામે ભાજપના સાધ્વી પ્રજ્ઞા ચૂંટણી લડી રહ્યા હોવાથી અહીં ધર્મ એક મહત્વનો મુદ્દો બનીને ઉભર્યો છે.
આજે સાધુ દિગ્વિજયસિંહના સમર્થનમાં રોડ શૉ કરી રહ્યા છે, તો મંગળવારે ઘણાં સાધુઓએ તેમની જીત માટે ધૂણી ધખાવીને હઠયોગ પણ કર્યો હતો. ધૂણી ધખાવીને બેઠેલા સાધુઓની તસવીર પણ ચર્ચાનો વિષય રહી હતી.
એક તરફ દિગ્વિજય સિંહ આજે રોડ શૉ અને પ્રચાર કરી રહ્યા છે, તો ભાજપ તરફથી સાધ્વી પ્રજ્ઞાએ પણ મોરચો સંભાળ્યો છે. સાધ્વીના ટેકામાં આજે ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ ભોપાલમાં રોડ શૉ કરશે. ભોપાલ માટે આજે સાધ્વી પ્રજ્ઞા અલગથી દ્રષ્ટિપત્ર પણ રજૂ કરવાના છે. જેમાં તેઓ ભોપાલ માટેના પોતાના વિઝનને જનતાની સામે રજૂ કરશે.
મહત્વપૂર્ણ છે કે સાધ્વી પ્રજ્ઞા માલેગાંવ બ્લાસ્ટના કેસમાં આરોપી છે અને હાલ તેઓ જામીન પર બહાર છે. કોંગ્રેસના દિગ્વિજયસિંહ હિંદુ આતંકવાદનો આરોપ લગાવીને ભાજપને ઘેરતા રહ્યા છે. તેના કારણે ભાજપે તેમની સામે સાધ્વી પ્રજ્ઞાને ઉમેદવાર બનાવ્યા છે.