કોરોના ફેલાતો અટકાવવા રાજસ્થાન સરકારનો નિર્ણય: ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ

  • કોરોના મહામારી વચ્ચે રાજસ્થાન સરકારનો પ્રજાલક્ષી નિર્ણય
  • કોરોના મહામારીને અટકાવવા રાજસ્થાન સરકારે ફટાકડાંના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
  • પ્રતિબંધ છત્તાં કોઇ ફટાકડાં વેચશે તો સખત પગલાં લેવાશે: અશોક ગેહલોત

જયપુર: કોરોના મહામારી વચ્ચે હવે રાજસ્થાન સરકારે ફટાકડાંના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં કોરોના વાયરસની મહામારીને ફેલાતી અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ જાણકારી આપી હતી.

ગેહલોતે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં 16 નવેમ્બર સુધી સ્કૂલ અને કોલેજો બંધ રાખવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે કોરોના વાયરસ સામે રાજ્યના નાગરિકોને રક્ષણ મળી રહે તે માટે ફટાકડાંના વેચાણ અને બનાવટની કામગીરી તથા પ્રદૂષણ ફેલાવતા વાહનો સામે કડક પગલાં ભરવામાં આવશે. લોકો અન્ય રીતે પ્રદૂષણ ના ફેલાવે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે.

કોરોનાના દર્દીઓ અને સામાન્ય નાગરિકોને આરોગ્યને ધ્યાનમાં રાખીને પ્રદૂષણ ફેલાય નહીં તે બાબતનું પણ ધ્યાન રખાયું છે. આ પ્રતિબંધનું ઉલ્લંઘન કરીને ફટાકડા વેચનાર અને ફિટનેસ સર્ટિફિકેટ વગર વાહન ચલાવનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ગેહલોતે જણાવ્યું કે રાજ્યમાં 2,000 ડૉક્ટરોની ભરતીની કામગીરી જલદી પૂર્ણ કરવામાં આવશે. પસંદ કરાયેલા ડૉક્ટરોની 10 દિવસમાં ભરતી કરવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

(સંકેત)

RELATED ARTICLES

Most Popular