Site icon Revoi.in

દિવાળી સુધી 55-60 ડોમેસ્ટિક ફ્લાઇટ્સ શરૂ થશે: હરદીપસિંહ પુરી

Social Share

– કોરોના મહામારી વચ્ચે દેશની ઉડ્ડયન સેવા પર ઉડ્ડયન મંત્રીનું નિવેદન
– દેશની 55-60 ટકા ડોમેસ્ટિક ફ્લાઇટ્સ દિવાળી સુધી ઉડવા માંડશે
– એર ઇન્ડિયાનું ખાનગીકરણ કરવું આવશ્યક છે

કોરોના મહામારી વચ્ચે દેશમાં ઉડ્ડયન સેવાને લઇને નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ આજે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે કોરોના સંકટ પહેલા જેટલી સ્થાનિક ફ્લાઇટ્સ ઉડતી હતી, તેની 55 થી 60 ટકા ફ્લાઇટ દિવાળી સુધી ઉડવા માંડશે.

વંદે ભારત મિશન અંગે જાણકારી આપતા તેમણે જણાવ્યું હતું કે, વંદે ભારત મિશન અંતર્ગત 2 લાખ 80 હજાર લોકોને વિદેશથી પરત લાવવામાં આવશે. દુબઇ અને યુએઇથી મોટી સંખ્યામાં ભારતીયો પરત આવ્યા છે, જ્યારે અમેરિકાથી અંદાજે 30 હજાર લોકો પરત આવ્યા છે.
વંદે ભારત મિશન અંતર્ગત એર ફ્રાંસ એરલાઇન્સ 18 જુલાઇથી 1 ઓગસ્ટ વચ્ચે દિલ્હી, મુંબઇ અને બેંગ્લોરથી પેરિસ માટે 28 ઉડાનોનું સંચાલન કરશે. જ્યારે અમેરિકી એરલાઇન્સની 18 ઉડાનો 17 થી 31 જુલાઇ વચ્ચે ભારત આવશે.

એર ઇન્ડિયાના ખાનગીકરણ વિશે તેમણે કહ્યું હતું કે એરલાઇન્સનું ખાનગીકરણ આવશ્યક છે અને સરકાર આ દિશામાં કાર્યરત છે. દરેક એરલાઇન્સ કર્મચારીઓને લીવ વિથઆઉટ પે પર મોકલી રહી છે. કારણ કે તેમની મજબૂરી છે. બીજી તરફ સરકાર પણ એ સ્થિતિમાં નથી કે એરલાઇન્સ કંપનીઓને આર્થિક સહાય પૂરી પાડી શકે.

નોંધનીય છે કે, કોરોના વાયરસ મહામારીના કારણે ભારતમાં ૨૩ માર્ચથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટના ઉડાન પર પ્રતિબંધ છે. સાથે જ ડોમેસ્ટિક ફ્લાઈટ પણ બંધ કરી દેવામાં આવી છે. પરંતુ ૨૫ મેથી ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ કરી દેવામાં આવી છે. તેના માટે કોરોના સાથે જોડાયેલી ગાઈડલાઈન્સ પણ જાહેર કરવામાં આવી હતી.

(સંકેત)