Site icon Revoi.in

PMC બેંક: કેન્દ્રીય નાણાં પ્રધાને આપ્યો થાપણદારોને ભરોસો, કહ્યું- દરેક શક્ય પગલા ઉઠાવવામાં આવશે

Social Share

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંક (પીએમસી) ગોટાળાના મામલામાં અસરગ્રસ્ત થાપણદારોને મોટું આશ્વાસન આપતા કહ્યું છે કે તેમની મદદ માટે દરેક શક્ય પગલા ઉઠાવવામાં આવશે. પીએમસી બેંકના થાપણદારો સાથેની વાતચીત બાદ તેમણે કહ્યું છે કે કોઓપરેટીવ બેંક આરબીઆઈ દ્વારા નિયંત્રિત થાય છે. પરંતુ મંત્રાલય કેસની સ્ટડી કરશે અને જરૂરી પગલા ઉઠાવશે. તેમણે કહ્યુ છે કે આરબીઆઈના ગવર્નર સાથે આના સંદર્ભે વાત પણ કરવામાં આવશે અને જરૂરત પડવા પર કાયદાકીય મદદ પણ લેવામાં આવશે. નાણાં પ્રધાન આ મોટા બેંક ગોટાળાના મામલા પર પહેલીવાર સામે આવ્યા છે.

આ પહેલા પ્રભાવિત બેંક ગ્રાહકોએ મુંબઈ ખાતે ભાજપ કાર્યાલય બહાર જોરદાર હંગામો કર્યો છે, જ્યારે નાણાં પ્રધાન અંદર મીટિંગ પણ કરી રહ્યા હતા.બાદમાં સીતારમને તેમને રાહત આપવા માટે વ્યાજબી પગલા ઉઠાવવાનું આશ્વાસન આપ્યું છે. તેમણે એમ પણ કહ્યું છે કે આવી ઘટનાઓને રોકવાની કોશિશ કરાઈ રહી છે અને જરૂરત પડવા પર એક્ટમાં પરિવર્તન પર પણ વિચાર કરવામાં આવશે. ગ્રાહકોના વિરોધ પ્રદર્શન એ સમયે ચાલી રહ્યા હતા, જ્યારે ભાજપ કાર્યાલયમાં બેઠક ચાલી રહી હતી. નાણાં પ્રધાને કહ્યું છે કે નાણાં મંત્રાલયની બેંક સાથે કોઈ લેણદેણ નથી, કારણ કે બેંકિંગ રેગ્યુલેટર આરબીઆઈ છે. પરંતુ તેમના તરફથી પગલા ઉઠાવતા મે ગ્રામીણ વિકાસ મંત્રાલય અને શહેરી વિકાસ મંત્રાલયના મામલાનો અભ્યાસ કરીને રિપોર્ટ તૈયાર કરવા માટે જણાવ્યું છે.

નિર્મલા સીતારમણે કહ્યું છે કે મંત્રાલયના સચિવોને કેસની ડિટેલમાં સ્ટડી કરીને જાણકારી મેળવવા માટે કહેવામાં આવ્યું છે કે હકીકતમાં શું થઈ રહ્યું છે. આરબીઆઈના પ્રતિનિધિ પણ સાથે હશે, જેથી કોઈપણ પ્રકારની ઉણપને સમજી શકાય અને જરૂરત પડે તો એક્ટમાં સંશોધનને અવકાશ પણ જોઈ શકાય.

પીએમસીના ગ્રાહકોમાં અચાનક ત્યારે ખળભળાટ વ્યાપી ગયો હતો, જ્યારે 24 સપ્ટેમ્બરે આરબીઆઈએ બેંકના કામકાજ પર રોક લગાવી હતી અને 6 માસની રોકની અવધિ દરમિયાન માત્ર 1000 રૂપિયા કાઢવાના નિર્દેશ જાહેર કર્યા હતા. રોક હેઠળ એ પણ કહેવામાં આવ્યું હતું કે બેંક 6 માસ સુધી કોઈ નવી લોન જાહેર કરી શકશે નહીં. ગ્રહાકોની મુશ્કેલી અને બેંકિંગમાંથી ઉઠી રહેલા ભરોસાને જોતા 26 સપ્ટેમ્બરે ઉપાડની મર્યાદાને વધારીને 10 હજાર રૂપિયા કરવામાં આવી હતી અને 3 એક્ટોબરમાં તેને 25 હજાર રૂપિયા કરવામાં આવી હતી.

આ મામલામાં અત્યાર સુધી ઈડી ચારને એરેસ્ટ કરી ચુકી છે. તેમા રિયલ એસ્ટેટ કંપની એચડીઆઈએલના પ્રમોટર્સ સારંગ અને રાકેશ વાધવાનની સાથે પીએમસી બેંકના ભૂતપૂર્વ એમડી જોય થોમસ અને પૂર્વ ચેરમેન વરયામસિંહ પણ સામેલ છે. અત્યાર સુધી તપાસમાં એ સામે આવ્યું છે કે બેંક અને કંપની, બંને આરબીઆઈ અને રજિસ્ટ્રાર ઓફ કંપનીઝને અંધારામાં રાખવા માટે 10 વર્ષથી આ ખેલ કરી રહ્યા હતા. ડમી એકાઉન્ટ્સ દ્વારા લેણદેણને વ્યાજબી દર્શાવાઈ રહી હતી.