અનલોક 3 – દિલ્હીમાં હોટલ ખોલવા કેજરીવાલ સરકારે આપી મંજૂરી, જીમ હજુ બંધ રહેશે

  • કેજરીવાલ સરકારે દિલ્હીમાં હોટલ ખોલવા માટે આપી મંજૂરી
  • જો કે દિલ્હીમાં હજુ જીમ ખોલવાને મંજૂરી નથી અપાઇ
  • દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠકમાં આ નિર્ણય લેવાયો

દિલ્હીની કેજરીવાલ સરકારે અનલોક 3 અંતર્ગત દિલ્હીમાં હોટલ ખોલવાને મંજૂરી આપી છે. જો કે જીમ હજુ પણ બંધ રહેશે. સરકાર એ ટ્રાયલ તરીકે સાપ્તાહિક બજારોને પણ લીલી ઝંડી આપી છે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યા હતા.

આપને જણાવી દઇએ કે કેન્દ્ર સરકાર દ્વારા અનલોક 3માં છૂટછાટ અપાયા બાદ કેજરીવાલ સરકારનો હોટલ અને સાપ્તાહિક બજાર ખોલવાનો પ્રસ્તાવ ઉપરાજ્યપાલ અનિલ બૈજલએ ફગાવી દીધો હતો. આ બાદ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પત્ર લખીને ઉપ રાજ્યપાલ પોતાનો નિર્ણય પરત ખેંચે તેવો નિર્દેશ કરવા માટે અનુરોધ કર્યો હતો.

અમિત શાહને લખેલા પત્રમાં નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે દિલ્હીમાં કોરોના વાયરસના કેસ સતત ઘટી રહ્યા છે જ્યારે ઉત્તરપ્રદેશ અને કર્ણાટકમાં કેસ વધી રહ્યા હોવા છત્તાં ત્યાં હોટલ અને સાપ્તાહિક બજારો ખુલ્લા છે. જે રાજ્યએ કોરોનાના સંક્રમણને અંકુશમાં રાખવા સારું કામ કર્યું છે તે રાજ્યમાં કારોબાર બંધ રાખવાની શા માટે ફરજ પાડવામાં આવી રહી છે?

તેમણે પત્રમાં વધુમાં લખ્યું હુતં કે દિલ્હીમાં 8 ટકા કારોબાર અને રોજગાર હોટલ ન ખુલવાથી ઠપ છે. સાપ્તાહિક બજાર બંધ હોવાથી 5 લાખ પરિવાર ગત 4 મહિનાથી ઘરમાં બેઠા છે.

નોંધનીય છે કે, શહેરના તમામ વ્યાપારિક સંગઠનો તેમજ હોટલ એસોસિએશને ઉપ રાજ્યપાલના નિર્ણય વિરુદ્વ નારાજગી વ્યક્ત કરી હતી. સંગઠને અનિલ બૈજલને પત્ર લખીને હોટલ અને સાપ્તાહિક બજારો ખોલવા માટે મંજૂરી આપવા અનુરોધ કર્યો હતો.

(સંકેત)

 

RELATED ARTICLES

Most Popular