દેશમાં 21 સપ્ટેમ્બરથી શાળાઓ ખુલશે, વિદ્યાર્થીઓ માટે ગાઇડલાઇન્સ જાહેર કરાઇ

  • કોરોના વાયરસના સંક્રમણની શરૂઆત બાદ દેશભરમાં શાળાઓ બંધ કરાઇ હતી
  • હવે લાંબા સમય બાદ દેશમાં શાળા-કોલેજો 21મી સપ્ટેમ્બરથી ખોલવામાં આવશે
  • શાળા અને વિદ્યાર્થીઓને કોરોનાની ગાઇડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરવું પડશે

કોરોના વાયરસના સંક્રમણની શરૂઆત બાદ માર્ચ મહિનાથી દેશભરની સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય બંધ કરવામાં આવ્યુ હતું, પરંતુ હવે લાંબા સમય બાદ શાળા-કોલેજને 21 સપ્ટેમ્બરથી ખોલવામાં આવશે. જો કે શાળાઓ ખોલવાની જાહેરાતની સાથોસાથ તમામ વિદ્યાર્થીઓ અને શાળાઓ માટે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ગાઇડલાઇન્સ પણ જાહેર કરવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ ટ્વીવટ મારફતે આ જાણકારી શેર કરી છે. શાળાઓ ખાલી 9માં ધોરણથી 12માં ધોરણના વિદ્યાર્થીઓ માટે ખોલવામાં આવશે.

વિદ્યાર્થીઓએ અને શાળાઓએ આ ગાઇડલાઇન્સનું કરવું પડશે પાલન

  • કન્ટેઇનમેન્ટ ઝોનના વિદ્યાર્થીઓ, શિક્ષકો કે સ્કૂલ સ્ટાફ શાળાએ નહીં આવી શકે
  • ગર્ભવતી મહિલા શિક્ષક, બિમાર, વૃદ્વ લોકોને સ્કૂલમાં નહીં બોલાવવામાં આવે
  • થર્મલ સ્કેનિંગમાં જો કોઇ કોરોના પોઝિટિવ હોવાની શંકા લાગશે તો તેને આઇસોલેટ કરાશે
  • સ્વાસ્થ્ય વિભાગ અને વાલીને આ મામલે જાણકારી આપવામાં આવશે
  • બંધ રૂમના બદલે બાળકો ખુલ્લામાં ભણશે
  • વધુમાં શાળા અને વિદ્યાર્થી વચ્ચે ઓછામાં ઓછું 6 ફીટનું અંતર રાખવામાં આવશે
  • જમીન પર પણ 6 ફૂટનું માર્કિંગ કરવું પડશે
  • વિદ્યાર્થીઓ એક બીજા સાથે પેન, પેન્સિલ, ચોપડી કે પાણીની બોટલ શેર નહીં કરી શકે
  • વિદ્યાર્થીઓ અને સ્ટાફ સતત હાથ સાફ અને ફેસ માસ્ક પહેરવો પડશે

તે ઉપરાંત શાળાઓમાં સવારની પ્રાર્થનાઓ નહીં થાય. જે વિદ્યાર્થીઓ શાળાએ નથી આવી શકતા તેમના માટે ઓનલાઇન ક્લાસ શરૂ કરવામાં આવશે. શાળાની કેન્ટિન પણ બંધ રાખવામાં આવશે. પ્રેક્ટિકલ લેબમાં વિદ્યાર્થીઓ વચ્ચે અંતર રાખવું પડશે.

(સંકેત)

RELATED ARTICLES

Most Popular