1. Home
  2. revoinews
  3. નહી બદલાય જમ્મુ-કાશ્મીરનો રાજકીય નક્શો, ડિલિમિટેશનથી ગૃહ મંત્રાલયે કર્યો ઈન્કાર
નહી બદલાય જમ્મુ-કાશ્મીરનો રાજકીય નક્શો, ડિલિમિટેશનથી ગૃહ મંત્રાલયે કર્યો ઈન્કાર

નહી બદલાય જમ્મુ-કાશ્મીરનો રાજકીય નક્શો, ડિલિમિટેશનથી ગૃહ મંત્રાલયે કર્યો ઈન્કાર

0
Social Share

નવી દિલ્હી: ભાજપ અધ્યક્ષ અમિત શાહે ગૃહ મંત્રાલયની જવાબદારી સંભાળતા જ જમ્મુ-કાશ્મીરમાં નવેસરથી ડિલિમિટેશનની કવાયત શરૂ થવાને લઈને અટકળો લાગવાનો પ્રારંભ થયો છે. આના કારણે માત્ર રાજકીય ગરમાવો જ વધ્યો નથી, પણ પીડીપીના પ્રમુખ મહબૂબા મુફ્તિએ વિરોધ પણ શરૂ કરી દીધો છે. હવે સૂત્રોને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ, ગૃહ મંત્રાલયમાં હાલ આવી કોઈ કવાયત ચાલી રહી નથી. ગૃહ પ્રધાન અમિત શાહની બેઠકમાં પણ ડિલિમિટેશનને લઈને કોઈ ચર્ચા થઈ નથી. તો આવો કોઈપણ પ્રસ્તાવ પણ ગૃહ મંત્રાલયના કોઈ ટેબલ પર નથી.

અમિત શાહના ગૃહ પ્રધાન બન્યા બાદથી મીડિયામાં અહેવાલો આવવા લાગ્યા હતા કે કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાં ડિલિમિટેશનની તૈયારીમાં છે. આ અટકળો ત્યારે જોર પકડવા લાગી કે જ્યારે અમિત શાહે ગૃહ મંત્રાલયની જવાબદારી સંભાળ્યા બાદ જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકની સાથે બેઠક કરી હતી. માનવામાં આવતું હતું કે મિશન કાશ્મીર તેમનો ખાસ ટાર્ગેટ છે.

અહેવાલો આવ્યા હતા કે ભાજપના સ્થાનિક નેતા જમ્મુ-કાશ્મીરમાં ડિલિમિટેશન ચાહે છે. તેના માટે તેઓ રાજ્યપાલને પત્ર લખીને પણ માગણી ઉઠાવી ચુક્યા છે. જમ્મુ-કાશ્મીર ભાજપના અધ્યક્ષ કવિન્દ્ર ગુપ્તાએ પણ કહ્યુ હતુ કે તેઓ રાજ્યપાલને ડિલિમિટેશન માટે લખી ચુક્યા છે. જેથી જમ્મુ, કાશ્મીર અને લડાખ ક્ષેત્રો સાથે ન્યાય થાય.

જમ્મુ-કાશ્મીરમાં 111 વિધાનસભા બેઠકો છે. હાલ 87 બેઠકો પર ચૂંટણી થાય છે. તેનું કારણ એ છે કે બંધારણના સેક્શન-47 પ્રમાણે 24 બેઠકો ખાલી રાખવામાં આવે છે. ખાલી 24 બેઠકો પીઓકે માટે બાકી છોડવામાં આવી હતી. સૂત્રો મુજબ, સ્થાનિક ભાજપના નેતાઓ ચાહે છે કે આ ખાલી 24 બેઠકો જમ્મુના ખાતામાં જોડવામાં આવે, જેનાથી તેમને ફાયદો થઈ શકે, કારણ કે 2014ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અહીં કુલ 37માંથી 25 બેઠકો જીતી ચુક્યું છે. તેના કારણે જમ્મુમાં ભાજપનો દબદબો માનવામાં આવે છે.

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લે 1995માં ડિલિમિટેશન થયું હતું. આમ તો રાજ્યના બંધારણ પ્રમાણે, જમ્મુ-કાશ્મીરમાં દર 10 વર્ષ બાદ ડિલિમિટેશન થવાનું હતુ. પરંતુ તત્કાલિન મુખ્યપ્રધાન ફારુક અબ્દુલ્લાએ 2002માં તેના પર 2026 સુધી રોક લગાવી દીધી હતી. દેશના અન્ય રાજ્યોમાં 2002ની વસ્તીગણતરીના આધારે ડિલિમિટેશન થઈ ચુક્યું છે. પરંતુ જમ્મુ-કાશ્મીરમાં આમ થઈ શક્યું નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code