- કોરોના મહામારી વચ્ચે એસ.ટી.બસના મુસાફરો માટે રાહતના સમાચાર
- ગુજરાત એસ.ટી. નિગમે આજથી મહારાષ્ટ્ર માટે બસ સેવાઓ ફરી શરૂ કરી
- ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં કુલ 242 ટ્રિપ દોડાવવામાં આવશે
ગાંધીનગર: કોરોના મહામારી વચ્ચે અને દિવાળી પહેલા એક સારા સમાચાર આવ્યા છે. સાત મહિના બાદ ગુજરાત એસ.ટી બસ દ્વારા આજથી એટલે કે 10 ઑક્ટોબરથી મહારાષ્ટ્ર રાજ્યમાં બસ સેવાઓ શરૂ કરવામાં આવી છે. રાજ્યનાં વિવિધ શહેરોમાંથી મહારાષ્ટ્રના શહેરો માટે 121 જતા અને 121 ટ્રીપ આવતા મળી કુલ 242 ટ્રીપ દ્વારા 30728 કિલોમીટર સંચાલન કરવામાં આવશે. આ નિર્ણયથી હજારો મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો છે. તે ઉપરાંત આજથી કંડલાથી દિલ્હીની ફ્લાઇટ સેવા પણ શરૂ થશે.
ગુજરાતમાં એસ.ટી નિગમના 16 વિભાગો પૈકી જૂનાગઢ સિવાયના બાકીના તમામ વિભાગોમાંથી બસો મહારાષ્ટ્ર તરફ દોડાવાશે. જૂનાગઢ વિભાગનું મહારાષ્ટ્ર તરફનું એસ.ટી. બસોનું શિડ્યુલ જ ના હોવાથી ત્યાંથી બસો નહીં જાય. આ નિર્ણયથી દૈનિક 12,000 મુસાફરોને લાભ થશે.
આગામી કેટલાક દિવસોમાં નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો શરૂ થવાના હોવાથી અનેક મધ્યમ અને ગરીબ મધ્યમ વર્ગોનાં પરિવાર પોતાના મહારાષ્ટ્ર તરફના વતનમાં રવાના થશે ત્યારે આ બસ સેવાઓ પૂર્વવત થતા તેઓને આર્થિક રાહત પણ મળશે.
બીજી તરફ દિલ્હી-કંડલા વચ્ચેની વિમાન સેવા 10 ઑક્ટોબરથી એટલે કે આજથી શરૂ થશે. બપોરે 2-55 કલાકે સ્પાઇસ જેટનું એરક્રાફ્ટ કંડલા એરપોર્ટ પર આવશે અને બપોરે 3-25 વાગ્યે દિલ્હી જવા રવાના થશે. આ ફ્લાઇટમાં મહત્તમ 78 લોકોની બેઠક ક્ષમતા હશે. જીલ્લામાંથી સીધી દિલ્હીની જોડતી આ પ્રથમ સક્રિય અને દૈનિક ધોરણે કાર્યરત ફ્લાઇટ બનશે.
(સંકેત)