લોકસભા ચૂંટણીના પરિણામો વિલંબથી આવશે!, ચૂંટણી પંચે આપ્યું આ કારણ
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019માં જનતા કઈ પાર્ટીને ચૂંટશે અને કેન્દ્રમાં કોની સરકાર બનશે, તેની રાહ આખો દેશ જોઈ રહ્યો છે. આ રાહ જોવાનો સિલસિલો 23મી મેના રોજ સમાપ્ત થશે. 23મી મેએ ચૂંટણી પંચ નિર્દેશિત વોટગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે અને પરિણામોની ઘોષણા થશે. પરંતુ મતગણતરીના દિવસે આખરી પરિણામ માટે વધુ રાહ જોવી પડશે.

ચૂંટણી પંચે કહ્યું છે કે દેશભરની લોકસભા બેઠકો પર થયેલા મતદાનને મતગણતરી બાદ 23મી મેએ ઘોષિત કરવામાં આશે. આમા થોડો વિલંબ લાગી શકે છે. તેનું મોટું કારણ એ છે કે ઈવીએમના વોટનું મિલાન વીવીપેટની ચબરખી સાથે થવાનું છે, જેમાં થોડો સમય લાગશે.
નાયબ ચૂંટણી કમિશનર સુદીપ જૈને એક ન્યૂઝચેનલ સાથેની વાતચીતમાં કહ્યુ છે કે આ વખતે ચૂંટણી પરિણામોમાં કેટલાક વિલંબની શક્યતા છે. તેમના જણાવ્યા પ્રમાણે પરિણામો આ વખતે ચારથી પાંચ કલાકના વિલંબથી ઘોષિત થવાની સંભાવના છે. સુદીપ જૈને કહ્યુ છે કે ઈવીએમ અને વીવીપેટના વોટોના મિલાનને કારણે આ વિલંબની શક્યતા છે.
પ્રવર્તમાન લોકસભા ચૂંટણીમાં ઈવીએમ અને વીવીપેટ મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં વોટ નાખ્યા બાદ એક ચબરખી પણ નીકળે છે. તેવામાં જ્યારે 23 મેના રોજ વોટની ગણતરી કરવામાં આવશે, તો ઈવીએમમાં પડેલાવોટની સાથે ચબરખીઓના મિલાનની એક પ્રક્રિયા પણ હાથ ધરાશે. ઈવીએમમાં ગડબડની ફરિયાદો બાદ ચૂંટણી પંચે ઈવીએમ સાથે વીવીપેટ લગાવવાનો નિર્ણય કર્યો હતો.
મહત્વપૂર્ણ છે કે પહેલા ઈવીએમ સાથે 50 ટકા વીવીપેટની ચબરખીઓના મિલાનની માગણી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે સાત મેના રોજ વિપક્ષની માગણીને ફગાવી દીધી છે. બાદમાં વિપક્ષી દળોએ ચૂંટણી પંચને રજૂઆત કરી છે.
પાંચ તબક્કાની ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થઈ ચુકી છે. હવે માત્ર બે તબક્કાનું વોટિંગ બાકી છે. તેવામાં ચૂંટણી પંચ દ્વારા વીવીપેટ અને ઈવીએમના પરિણામોના મિલાનને કારણે તેના ઘોષિત થવામાં વિલંબની કરીને રિઝલ્ટમાં થોડી વધુ રાહ જોવી પડે તેવી વાતને પુષ્ટિ આપી છે.