1. Home
  2. revoinews
  3. કોરોનાને કારણે આ વર્ષે નહીં યોજાય જગવિખ્યાત રૂપાલની પલ્લી
કોરોનાને કારણે આ વર્ષે નહીં યોજાય જગવિખ્યાત રૂપાલની પલ્લી

કોરોનાને કારણે આ વર્ષે નહીં યોજાય જગવિખ્યાત રૂપાલની પલ્લી

0
Social Share
  • રૂપાલની પલ્લીને લઇને આવ્યા સમાચાર
  • આ વખતે કોરોનાને કારણે પલ્લીનું આયોજન નહીં થાય
  • દર વર્ષે હજારો કિલો ઘી ચઢાવવામાં આવે છે

શ્રદ્વાળુઓની આસ્થા અને શ્રદ્વાનું પ્રતિક એવી જગવિખ્યાત રૂપાલ વરદાયિની માતાજીની પલ્લીમાં રીતસર ઘીની નદીઓ વહેતી જોવા મળે છે. પરંતુ આ વખતે કોરોનાના કારણે પલ્લીમેળો નહીં યોજવાનો નિર્ણય લેવાયો છે. આ પલ્લીમાં લાખો શ્રદ્વાળુઓ ભાગ લે છે. પલ્લી યોજવા અંગે ગુજરાત સરકારે નિર્ણય લીધો છે. આ વર્ષે કોરોના વાયરસના કારણે પલ્લીનું આયોજન રદ કરવામાં આવ્યું છે.

પલ્લીના આયોજન અંગે પહેલા કોઇ નિર્ણય કરવામાં આવ્યો નહોતો જેને કારણે ટ્રસ્ટીઓ પણ અસમંજસમાં મૂકાયા હતા. જો કે હવે સરકારે નિર્ણય લઇ લીધો છે કે આ વર્ષે પલ્લીનું આયોજન નહીં થાય. આ પલ્લીમાં હજારો કિલો ઘી ચઢાવવામાં આવે છે. જેમાં લાખો ભાવિકો પોતાની માનતા પુરી કરે છે.

આપને જણાવી દઇએ કે માતાજીની પલ્લી ખીજડાના ઝાડમાંથી બનાવવામાં આવે છે. સુથાર ભાઇઓ દ્વારા પલ્લી તૈયાર કરવામાં આવે છે. પલ્લી પર શુદ્ધ ઘીનો અભિષેક કરવાની પરંપરા છે. આ પરંપરા મહાભારત કાળથી ચાલી આવે છે. ગાંધીનગર નજીક આવેલા અને માતાજીની આસ્થાના પ્રતિક સમા રૂપાલ વરદાયીની માતા મંદિરથી છેલ્લા પાંચ હજાર વર્ષથી દર વર્ષે નવરાત્રીના નોમની રાત્રીએ પલ્લી કાઢવામાં આવે છે.

મહત્વનું છે કે, મહાભારત કાળથી રૂપાલમાં પલ્લી યાત્રા થાય છે. લોકવાયકા પ્રમાણે પાંડવોએ સાડા પાંચ હજાર વર્ષ પૂર્વે સોનાની પલ્લી કાઢી હતી. આ પલ્લી પર ચોખ્ખા ઘીના અભિષેકની સાથે સાથે બાળકોને પલ્લીની જ્યોત ઉપરથી ફેરવવાની પણ ધાર્મિક માન્યતા વર્ષોથી ચાલી આવે છે. પલ્લી પરથી નીચે પડેલું ઘી વાલ્મિક સમુદાય દ્વારા એકઠું કરવામાં આવે છે અને તેને ગરમ કરીને પુનઃ શુદ્ધ કરી પ્રસાદીરૂપે ગ્રહણ કરવામાં આવે છે.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code