![મોદી સરકાર જુલાઈના પ્રથમ સપ્તાહમાં બજેટ રજૂ કરે તેવી શક્યતા, તૈયારીઓનો પ્રારંભ:સૂત્ર](https://hindi.revoi.in/wp-content/uploads/2019/05/budget-20192.jpg)
નવી દિલ્હી: નવી સરકારની રચના બાદ મોદી સરકાર જુલાઈના પ્રથમ સપ્તાહમાં બજેટ રજૂ કરે તેવી શક્યતા છે. આ પહેલા સરકારે ચૂંટણી પહેલા વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. વચગાળાના બજેટાં કેટલાક નિર્ણયો એવા રાખવામાં આવ્યા હતા, જેને જુલાઈમાં રજૂ થનારા બજેટમાં પૂર્ણ સ્વરૂપ આપી શકાય છે. સૂત્રોનું માનવું છે કે નાણાં મંત્રાલયે એનડીએને મળેલી પ્રચંડ બહુમતી બાદ જ બજેટની રૂપરેખા તૈયાર કરવાનું શરૂ કર્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બજેટ માટે પહેલા જ ઈન્ડસ્ટ્રીઝની સાથે બેઠકોનો તબક્કો શરૂ થઈ ચુક્યો છે.
![](https://www.revoi.in/wp-content/uploads/2019/05/budget-20192.jpg)
બજેટમાં સરકારનું ધ્યાન ઈકોનોમીના ગ્રોથને પાટા પર લઈ આવવાનું હશે. નોકરી વધારનારા રિયલ એસ્ટેટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્સ્ટ્રક્શન સેક્ટર પર પણ સરકાર ધ્યાન આપશે. ખેડૂતોની આવકને વધારવાની યોજના પણ અમલમાં લાવવામાં આવે તેવી શક્યતા છે. SMEsની ફાયદાકારક યોજનાને પહેલા કરતા વધારે અસરદાર બનાવવામાં આવે તેવી શક્યતા છે. સકાર તરફથી મેક ઈન ઈન્ડિયા અને એક્સપોર્ટને પ્રોત્સાહન આપવા પર પણ ભાર મૂકાઈ રહ્યો છે. આ સિવાય એફડીઆઈના નિયમોને વધુ આસાન બનાવવાની કોશિશ સરકાર તરફથી કરવામાં આવશે. મોટાભાગના સેક્ટરોમાં ઓઠોમેટિક રુટ પરથી એફડીઆઈના નિયમોમાં છૂટ અને લોકોને નોકરી લાયક હુન્નરમંદ બનાવવા પર પણ સરકાર ધ્યાન કેન્દ્રીત કરશે. મોટા ટેક્સ સુધારા તરીકે ડાયરેક્ટ ટેક્સની રૂપરેખા તૈયાર કરવામાં આવશે.
કેન્દ્રની મોદી સરકારે 1 ફેબ્રુઆરી-2019ના રોજ પરંપરા પ્રમાણે, ચૂંટણી પહેલા વચગાળાના બજેટને રજૂ કર્યું હતું. પરંતુ બજેટ રજૂ કરતા પહેલા જ સરકારે સંકેત આપ્યો હતો કે આ બજેટ પૂર્ણ બજેટની જ છબી છે. બજેટ ડોક્યુમેન્ટ પર પણ વચગાળાનું બજેટ લખવામાં આવ્યું ન હતું.
નાણાં મંત્રાલયે 19મી મેના રોજ આવેલા એક્ઝિટ પોલ બાદથી જ બજેટની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. નાણાં મંત્રાલયના અધિકારીઓએ સૌથી પહેલા ફિક્કીના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તો અન્ય ઉદ્યોગ સંગઠનો સાથે પણ બજેટ સંબંધિત બેઠકો થઈ ચુકી છે. સૂત્રોનું માનવું છે કે મંત્રાલયે અન્ય મંત્રાલયો પાસેથી પણ સૂચનો મંગાવ્યા છે. નાણાં મંત્રાલયના એક અધિકારીએ નામ ઉજાગર નહીં કરવાની શરતે જણાવ્યું છે કે કેટલાક અધિકારીઓને બજેટને લઈને ડોક્યુમેન્ટેશન કરવાની જવાબદારી 19 મેના રોજ જ સોંપી દેવામાં આવી હતી.