Site icon Revoi.in

આર્ટિકલ-370 બાદ હવે યુનિફોર્મ સિવિલ કોડ! ડિસેમ્બરમાં બિલ રજૂ કરાય તેવી શક્યતા: રિપોર્ટ

Social Share

જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને અનુચ્છેદ-370ને નિષ્પ્રભાવી કરીને હટાવી દેવાયો છે. જમ્મુ-કાશ્મીર અને લડાખને બે અલગ કેન્દ્રશાસિત પ્રદેશો બનાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ ચુકી છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર ડિસેમ્બર-2019માં યુનિફોર્મ સિવિલ કોડ બિલ સંસદમાં રજૂ કરે તેવી શક્યતા છે.એક અંગ્રેજી વેબસાઈટે સૂત્રોને ટાંકીને આના સંદર્ભે જાણકારી આપી છે. ટાઈમ્સ નાઉએ સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે યુસીસીનો મુસદ્દો તૈયાર થઈ રહ્યો છે.

એક ભારત માટે યુસીસી બિલ એનડીએ સરકારના રાષ્ટ્રવાદી દ્રષ્ટિકોણનો હિસ્સો રહ્યું છે. ખાસ કરીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટીનું એક જૂથ આગામી મોટા કાયદાકીય ઉપાય તરીકે યુનિફોર્મ સિવિલ કોડને લાગુ કરવાની માગણી કરી રહ્યા છે. જો કે લૉ કમિશને 2018માં એક પરામર્શ પત્રમાં કહ્યુ હતુ કે યુસીસી લાગુ કરવા પર સર્વસંમતિની ગેરહાજરી હતી. કમિશને પત્રમાં ભેદભાવ દૂર કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

જસ્ટિસ બી. એસ. ચૌહાનની અધ્યક્ષતાવાળા લૉ કમિશન દ્વારા કાયદા મંત્રાલયને મોકલવામાં આવેલા પરામર્શ પત્રમાં કહેવામાં આવ્યું છે કે યુસીસીની હાલ જરૂરત નથી. બંધારણીય સભામાં થયેલી ચર્ચાથી જાણકારી મળે છે કે યુસીસીને લઈને બંધારણીય સભામાં સર્વસંમતિ ન હતી. ઘણાં લોકોનું માનવું છે કે યુસીસી અને પર્સનલ લૉ સિસ્ટમ સાથે-સાથે રહેવી જોઈએ. જ્યારે કેટલાક લોકોનું માનવું હતું કે યુસીસીને પર્સનલ લૉના સ્થાને લાવવો જોઈએ. ચર્ચા દરમિયાન કેટલાકનું એમ પણ માનવું હતું કે યુસીસીનો અર્થ ધર્મની આઝાદીને સમાપ્ત કરવાનો હતો.

તો સુપ્રીમ કોર્ટે ગત મહીને જોયું કે આખા ભારતમાં એક સમાન નાગરીક સંહિતા નાગરિકો માટે સુરક્ષિત કરવા માટે કોઈ પગલું ઉઠાવવામાં આવ્યું નથી. ગોવા સાથે જોડાયેલા એક કેસનું ઉદાહરણ આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મુસ્લિમ શખ્સ, જેના લગ્ન ગોવામાં નોંધાયેલા છે, તે બહુપત્ની પ્રથાને અનુસરી શકતો નથી. કોર્ટે આગળ કહ્યું હતું કે ઈસ્લામને અનુસરનારાઓ માટે મૌખિક તલાકની કોઈ જોગવાઈ નથી. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ બુધવારે યુનિફર્મ સિવિલ કોડ માટે જણાવ્યું છે કે અનુચ્છેદ-370ને સમાપ્ત કરવી બાળાસાહેબ ઠાકરેનું સપનું પૂર્ણ થઈ ગયું છે. હવે અમે યુનિફોર્મ સિવિલ કોડ ઈચ્છીએ છીએ.