1. Home
  2. revoinews
  3. આગામી સપ્તાહે થશે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક, ચૂંટવામાં આવશે વચગાળાના અધ્યક્ષ
આગામી સપ્તાહે થશે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક, ચૂંટવામાં આવશે વચગાળાના અધ્યક્ષ

આગામી સપ્તાહે થશે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક, ચૂંટવામાં આવશે વચગાળાના અધ્યક્ષ

0
Social Share

નવી દિલ્હી: કોંગ્રેસ પાર્ટી હાલ અધ્યક્ષ વિહીન છે. રાહુલ ગાંધીના રાજીનામા બાદ પાર્ટીની કમાન હાલ કોઈની પાસે નથી. તેવામાં દેશની સૌથી મોટી રાજકીય પાર્ટીની સામે નેતૃત્વનું સંકટ છે. આ સંકટને દૂર કરવા માટે આગામી સપ્તાહે પાર્ટી વર્કિંગ કમિટીની બેઠક બોલાવી શકે છે. જેમાં વચગાળાના અધ્યક્ષ પર નિર્ણય થવાની શક્યતા છે. જે પાર્ટીના નવા અધ્યક્ષ ચૂંટાવા સુધી કોંગ્રેસ સંગઠનનું સંપૂર્ણ કામકાજ જોશે.

કોંગ્રેસની આ બેઠકમાં રાહુલ ગાંધીનું રાજીનામું સ્વીકારવામાં આવશે. તેને લઈને અહમદ પટેલે મલ્લિકાર્જૂન ખડગે, ગુલામ નબી આઝાદ, કમલનાથ, અશોક ગહલોત અને સુશીલકુમાર શિંદેને ફોન કરીને બેઠકની જાણકારી આપી. પહેલા અસ્થાયી અધ્યક્ષ ચૂંટવામાં આવશે અને બાદમાં પૂર્ણકાલિક અધ્યક્ષની ચૂંટણીની વાત થશે.

લોકસભાની ચૂંટણીમાં શરમજનક હારની જવાબદારી લેતા રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદ પરથી બુધવારે રાજીનામું આપી દીધું હતું. તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ચાર પૃષ્ઠોની ચિઠ્ઠી જાહેર કરતા રાજીનામાની ઘોષણા કરી હતી. તેના પછી કોંગ્રેસ પાર્ટીમાં હલચલ મચી ગઈ છે.

હજી સુધી નિર્ધારીત થઈ શક્યું નથી કે પાર્ટીના અધ્યક્ષ કોણ હશે, જો કે રાહુલ ગાંધીએ કહ્યુ છે કે આ વખતે નવા અધ્યક્ષ ચૂંટણી દ્વારા ચૂંટવામાં આવશે અને ગાંધી પરિવારથી બહારના હશે. એ વાતનો ઉલ્લેખ તેમણે પોતાની ચિઠ્ઠીમાં જ કર્યો હતો.

રાહુલ ગાંધીએ પોતાની ચિઠ્ઠીમાં કહ્યુ હતુ કે ચૂંટણીમાં હારની જવાબદારી કોઈએ તો લેવી પડશે, હું અધ્યક્ષ છું માટે હું આ જવાબદારી લઉં છું. તેમણે સાથે જ એમ પણ કહ્યુ હતુ કે પાર્ટીએ તાત્કાલિક વર્કિંગ કમિટીની બેઠક બોલાવવી જોઈએ અને નવા અધ્યક્ષની પસંદગી કરવી જોઈએ. આ પ્રક્રિયાથી તે દૂર રહેશે. પરંતુ પાર્ટી માટે કામ કરતા રહેશે.

લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને માત્ર 52 બેઠકો મળી હતી. પરિણામો બાદ જ રાહુલ ગાંધીએ રાજીનામાની પેશકશ કરી દીધી હતી. પરંતુ પાર્ટી સતત તેમને મનાવવાની કોશિશ કરી રહી હતી. અશોક ગહલોત, અહમદ પટેલ, કમલનાથ સહીત પાર્ટીના ઘણાં મોટા નેતાઓએ રાહુલ ગાંધીને મનાવવાની કોશિશ કરી હતી.

રાહુલ ગાંધીના રાજીનામું આપવાના નિર્ણયની તેમના બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ પ્રશંસા કરી છે. પ્રિયંકા ગાંધીએ ગુરુવારે ટ્વિટ કરીને લખ્યું છે કે મુઠ્ઠીભર લોકોમાં રાહુલ ગાંધીની જેમ નિર્ણય લેવાની હિંમત હોય છે. તે તેમના આ નિર્ણયનું સમર્થન કરે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code