Site icon Revoi.in

અમદાવાદમાં મંદિરની બહાર AMCના ધામા, ભક્તોનું ચેકિંગ શરૂ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં પવિત્ર શ્રાવણ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવી રહ્યાં છે. ત્યારે બીજી તરફ કોરોના વાયરસનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે રાજ્યમાં અનેક મંદિરોમાં ભક્તોના દર્શન બંધ રાખવામાં આવ્યાં છે. અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના ટેસ્ટ શોધી કાઢવા માટે મનપાના આરોગ્ય વિભાગે મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓનું ટેસ્ટીંગ શરૂ કર્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા હાલ શહેરના વિવિધ વિસ્તારમાં રેપિટ ટેસ્ટીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેથી કોરોના વાયરસના પોઝિટિવ કેસ શોધી શકાય. આરોગ્ય વિભાગની ટીમ શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તોનું મેડિકલ ચેકઅપ શરૂ કર્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા 564 ભક્તોનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. જે પૈકી 6 ભક્તોનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યાં હતા. અમદાવાદ શહેરમાંથી કોરોના વાયરસના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે આરોગ્ય વિભાગ દ્વારા રેપીડ ટેસ્ટીંગની કામગીરી વધુ તેજ બનાવવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોના વાયરસના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. ત્યારે રાજ્યના વિવિધ શહેરોમાં પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે અમદાવાદની જેમ રેપીડ ટેસ્ટની કવાયત શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં મનપાએ રેપીડ ટેસ્ટીંગની કામગીરી શરૂ કરીને કોરોના વાયરસનું સંક્રમણ ફેલતુ અટકાવવાની કામગીરી તેજ બનાવી છે.