Site icon Revoi.in

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુભાઇ પટેલના અસ્થિઓનું ત્રિવેણી ઘાટ ખાતે કરાયું વિસર્જન

Social Share

ગીર: રાજકારણના ભીષ્મ પિતામહ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી તેમજ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ સ્વ.કેશુભાઇ પટેલના અસ્થિ સોમનાથ ખાતે ત્રિવેણી ઘાટમાં વિસર્જિત કરવામાં આવ્યા છે. તેમના પરિવારે સોમનાથ મહાદેવ મંદિર ખાતે આવેલા ત્રિવેણી ઘાટમાં અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

સ્વ.કેશુભાઇ પટેલનું ટૂંકી બિમારી બાદ નિધન થતા તેમના અસ્થિઓનું આજે તેમના પરિવારે ત્રિવેણી ઘાટમાં વિસર્જન કર્યું હતું. સ્વ.કેશુભાઇ પટેલના પુત્ર, ભરતભાઇ પટેલે જણાવ્યું હતું કે, સ્વ.કેશુભાઇ પટેલની ઇચ્છા હતી કે, સોમનાથમાં પાર્વતીજી મંદિર બને તે પણ હાલમાં જ સોમનાથ ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં સોમનાથ મંદિર પરિસરમાં પાર્વતીજીનું મંદિર બનાવવાનું કામ ચાલુ થશે.

હિંદુ શાસ્ત્રોનુસાર, ત્રિવેણીમાં અસ્થિ વિસર્જન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. સ્વ.કેશુભાઇ પટેલ લગભગ 2 દાયકાથી વધુથી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ રહી ચૂક્યા છે. હાલમાં નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિતના ટ્રસ્ટીઓએ વધારે એક વખત કેશુભાઇ પટેલને અધ્યક્ષ તરીકે સર્વાનુમતે નિમણૂક કર્યા હતા.

મહત્વનું છે કે, સોમનાથની પવિત્ર ભૂમિને હરિ અને હરની ભૂમિ પણ કહેવામાં આવે છે. સોમનાથ ખાતે સરસ્વતી, કપિલા અને હિરણ નદીનું સંગમ થાય છે. જેના કારણે આ નદીને ત્રિવેણી નદી કહેવામાં આવે છે. કહેવાય છે, જ્યાં ભગવાન કૃષ્ણ પણ અહીંથી જ નિજ ધામ પધાર્યા હતા અને મહાભારત યુદ્વ બાદ પાંડવો દ્વારા પણ અહીં પિતૃ મોક્ષ માટે પિંડદાન કરવામાં આવ્યું હતું.

(સંકેત)