Site icon Revoi.in

AMCનો નિર્ણય, 30થી વધુ કર્મચારીઓ ધરાવતી સંસ્થામાં કોવિડ કો-ઓર્ડીનેટર રાખવા પડશે

Social Share

સમગ્ર દેશ અને ગુજરાતમાં કોરોનાની મહામારી યથાવત્ છે. અમદાવાદમાં પણ સંક્રમણ વ્યાપકપણે ફેલાઇ રહ્યું છે અને રોજ નવા નવા કેસ આવી રહ્યા છે. રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર કોરોનાને કાબૂમાં લેવા માટે તમામ રીતે પ્રયાસરત છે. આ વચ્ચે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

AMC અનુસાર હવે અમદાવાદ શહેરમાં 30થી વધુ કર્મચારીઓ ધરાવતી ઓફિસો, એકમો, સંસ્થાઓમાં એક કોવિડ કો-ઓર્ડીનેટરની નિમણૂક કરવી પડશે. આ કોવિડ કો-ઓર્ડીનેટર ઓફિસમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની માર્ગદર્શિકાનું પાલન કરાવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ બાબતોનું રાખવું પડશે ધ્યાન

અમદાવાદમાં કોરોના સંક્રમણના આંકડા પર નજર કરીએ તો છેલ્લા સપ્તાહમાં કોરોનાના દૈનિક ધોરણે 160ની અંદર કેસ નોંધાતા રહ્યા છે. જો કે ગુરુવારે 13 ઑગસ્ટના રોજ આ આંક 161ને વટાવી ગયા છે. અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધીમાં 28,517 કેસ અને 1,648 દર્દીના મોત થયા છે. તેમજ કુલ 23,273 દર્દી સાજા થઇ ઘરે પરત ફર્યા છે.

નોંધનીય છે કે, સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે ત્યારે બીજી તરફ કોરોના વાયરસને નાથવા માટે રશિયાએ કોરોના વેક્સીન લોન્ચ કરી છે. આ સિવાય અન્ય દેશો પણ કોરોના વેક્સીન પર કામ કરી રહ્યા છે. કોરોના વેક્સીન જલ્દી માર્કેટમાં આવે અને કોરોના સંક્રમિત દર્દીઓની જલ્દી સારવાર થાય તેવી લોકો આશા સેવી રહ્યા છે.

(સંકેત)