Site icon Revoi.in

અમરિંદરના આમંત્રણ પર કરતારપુર જનારા પહેલા જત્થામાં સામેલ થશે મનમોહનસિંહ, પરંતુ..

Social Share

ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહ 9 નવેમ્બરે કરતારપુરસાહિબ જનારા પહેલા શીખ જત્થામાં સામેલ થશે. પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહે ડૉ. મનમોહનસિંહને આ જત્થામાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું હતું, જેનો મનમોહનસિંહે સ્વીકાર કર્યો છે. આના પહેલા મનમોહનસિંહને પાકિસ્તાન તરફથી કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટનમાં આવવાનું આમંત્રણ મળ્યું હતું. પરંતુ મનમોહનસિંહે આના પર વિદેશ મંત્રાલયની મંજૂરી લેવાની વાત કહી હતી.

મહત્વપૂર્ણ છે કે 9 નવેમ્બરે પંજાબમાંથી કરતારપુર સાહિબ માટે શીખ શ્રદ્ધાળુઓના જત્થા રવાના થશે, તેની આગેવાની ખુદ પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહ કરશે. મનમોહનસિંહ સુલ્તાનપુર લોધીમાં થનારા કાર્યક્રમમાં સામેલ થશે.

ગુરુવારે દિલ્હી પહોંચેલા કેપ્ટન અમરિન્દરસિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ ગુરુ નાનકદેવજીના 550મા પ્રકાશોત્સવના કાર્યક્રમમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું છે. પંજાબ સરકારના પ્રવક્તાએ કહ્યું છે કે બંનેએ આ આમંત્રણનો સ્વીકાર કર્યો છે. જો કે હાલ શું પીએમ અને રાષ્ટ્રપતિ કરતારપુરના કાર્યક્રમમાં સામેલ થશે અથવા નહીં, તેના પર કોઈ જવાબ મળ્યો નથી.

કેપ્ટન અમરિન્દર સિંહે આ દરમિયાન કેન્દ્ર સરકારને 21 લોકોના જત્થાને પાકિસ્તાન મોકલવાની મંજૂરી માંગી છે. જે 30 ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધી ત્યાં રહેશે અને ત્યાંથી નગર કીર્તનને અમૃતસર સુધી લાવશે.

મહત્વપૂર્ણ છે કે પાકિસ્તાન તરફથી કરતારપુર કોરિડોર માટે નવી ચાલ ચાલવામાં આવી હતી. જેમા તેમના તરફથી ઉદ્ઘાટન સમારંભમાં માત્ર ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોઈ સત્તાવાર આમંત્રણ મળ્યુ નથી. જો કે મનમોહનસિંહ તરફથી આ આમંત્રણને વિદેશ મંત્રાલય પાસે મોકલી દેવામાં આવ્યું હતું, કારણ કે વિદેશ મંત્રાલયની મંજૂરી વગર આવા પ્રકારના આમંત્રણને સ્વીકારવામાં આવતું નથી.

આ કોરિડોર ભારતીય ક્ષેત્રમાંથી કરતારપુરસાહિબ ગુરુદ્વારાને જોડશે જે પાકિસ્તાનના નરવાલ જિલ્લામાં ભારતીય પંજાબના ગુરુદાસપુર ખાતેની સીમાથી થોડાક અંતરે છે. આ ગુરુદ્વારામાં બાબા ગુરુ નાનકે પોતાના જીવનની આખરી ક્ષણ વિતાવી હતી, તેના કારણે તેને બેહદ પવિત્ર માનવામાં આવે છે.

ઐતિહાસિક ગુરુદ્વારામાં પંજાબના મુખ્યપ્રધાન સાથે જનારા ડેલિગેશનમાં પંજાબના તમામ 117 ધારાસભ્યો, લોકસભા અને રાજ્યસભા સાંસદ, શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક કમિટીના સદસ્ય, સાથે જ સંત સમાજના સભ્યો અને રાજ્યમાં માન્યતા પ્રાપ્ત દરેક રાજકીય પક્ષના ડેલિગેટ સામેલ થશે.

ત્યાર બાદ દરરોજ પાંચ હજાર શ્રદ્ધાળુઓ ગુરુદ્વારામાં માથું ટેકવી શકશે. 4.2 કિલોમીટર લાંબા કોરિડોરનું નિર્માણ 31 ઓક્ટોબર સુધી પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. ગુરુદ્વારા પાકિસ્તાનના પંજાબ પ્રાંતના નારોવાલ જિલ્લામાં આવેલું છે. તે પંજાબના ગુરુદાસપુર જિલ્લામાં ડેરા બાબા નાનક નગરની નજીક છે.