Site icon Revoi.in

જય શ્રી રામ! અયોધ્યામાં મંદિર નિર્માણ, ભગવાન શ્રી રામના જીવન પર એક નજર

Social Share

– દેવાંશી દેસાણી

જય શ્રી રામ,  રામ અને કૃષ્ણ એ ભારતીય સંસ્કૃતિના આધારસ્તંભો અને ભારતીય જનતાના નિષ્ટાકેન્દ્ર છે.પ્રત્યેક ભારતીયના હદય પર રામનું પ્રેમશાસન હજી પણ ચાલી રહ્યું છે. ઠેરઠેરથી આવતો શ્રીરામ જય રામ જય રામની ધૂનનો ઉદધોષ એની સાક્ષી પૂરે છે.

રામનો જન્મ ચૈત્રસુદ નવમીને દિવસે બપોરના ૧૨ વાગ્યે થયો હતો. બળબળતા બપોરમાં અને ઘગધગતા તાપમાં શ્રીરામનો જન્મ થયો હતો. જીવ અને જગત જયારે આધી, વ્યાધી અને ઉપાધીથી તપ્ત થઇ જાય ત્યારે એમને શાંતિ અને સુખ આપવા પ્રેમ, પાવિત્ર્ય અને પ્રશનતાના પુંજ એવા પ્રભુ રામ જન્મ લે છે.

કોટુબીક, સામાજિક અને નૈતિક તેમજ રાજકીય મર્યાદામાં રહીને પણ ‘પુરુષ’ ઉતમ શી રીતે થઇ શકે એ મર્યાદા પુરષોતમ રામનું જીવન આપણને સમજાવે છે. આત્માન માનુષ મન્યે રામ દશરથાત્મજમ એમ કહેતા અને પોતાને માનવ સમજતા રામ દેવકોટિમાં શી રીતે પહોચી ગયા એ રામાયણ દર્શાવે છે.

વિશ્વામિત્ર રામને યજ્ઞના રક્ષણ માટે લઇ ગયા ત્યાં તેઓ જુદી પધ્ધતિથી જ શિક્ષણ આપતા, વિશ્વામિત્ર રોજ રામની જીવનદીવીમાં સાંસ્કૃતિક પ્રેમનું ઘી પૂરતા રહ્યા. રામ એક કોટુબીક આદર્શ મૂકી ગયા. બીજા ત્રણ ભાઈઓ વચ્ચે કદી ઝઘડો ન હતો. ત્યાગમાં આગળને ભોગમાં પાછળ હતા. માતૃ પિતૃભક્તિ ખરેખર અનુકરણીય છે. વનમાં જવાની આજ્ઞા મળી તો પણ એ જ ભાવ. પ્રભાતનો પાંચથી સાતનો સમય રામની યાદમાં રામ – પ્રહર તરીકે રાખ્યો છે.

‘યથા રાજા તથા પ્રજા’ એ વચન અનુસાર પ્રજાને આદર્શ બનાવવા પોતાનું જીવન કેવું વ્રતશીલ અને તપસ્વી હોવું જોઈએ એ માટેની જાગૃતિ પુરવાર કરે છે.

યસ્માંન્નોપ્તીજ્તે લોકો લોકાન્નોપ્તીજ્તે ચ ય : ! એ ગીતા કથન જીવનમાં ચરિતાર્થ કર્યું હતું. તેમને પ્રજા પર પ્રેમ હતો. એટલું જ નહીં પ્રજાને પણ તેમના પર હદયનો પ્રેમ હતો. રામ સુગ્રીવની મૈત્રી અજોડ હતી. રામ જયારે સરયુ પ્રવેશ કરે છે. ત્યારે કિષકંધાથી સુગ્રીવ દોડતો આવ્યો છે. અને પોતે પણ રામ સાથે સરયુ પ્રવેશ કરે છે.

લોકોતર શત્રુ પણ રામજ મારીચ કહે છે. મિત્ર પણ રામ જેવો અને શત્રુ પણ રામ જ જેવો જ. રાવણના મૃત્યુ પછી વિભીષણ રાવણનો અંતિમસંસ્કાર કરવાની ના પાડે છે. ત્યારે રામ કહે છે મરણની સાથે વેર પૂરું થાય છે. તેથી તું અંતિમસંસ્કાર નહીં કરે તો હું કરીશ. એ જેવો તારો ભાઈ તેવો જ મારો પણ ભાઈ છે.

લોકોતર વલ્લભ એટલે રામ. સાધ્વી સ્ત્રીઓની અપેક્ષા રામ જેવા પતિની હોય છે. રામને સીતા પર અનહદ પ્રેમ હતો.

રામે રાણી સીતાનો ત્યાગ કર્યો હતો નહીં કે પતિએ પત્નીનો. પત્નીનો ત્યાગ કર્યો હોત તો યજ્ઞ પ્રસંગે બીજી સ્ત્રીને પરણત.

રામને જન્મભૂમિ વ્હાલી હતી. વાલીને માર્યા પછી કિષકાંધાનું રાજ્ય સુગ્રીવને આપે છે. રાવણને માર્યા પછી લંકાનું રાજ વિભિષણને આપે છે. રામને આ ભૂમિઓ પર લોભ કે મોહ ન હતો. લંકા સોનાની હોવા છતાં મને ગમતી નથી. હે લક્ષ્મણ ! જનની અને જન્મભૂમી સ્વર્ગથી મહાન છે. એમ રામ કહે છે.

‘દુર્લભ ભારતે જન્મ’ ! જે ભૂમિમાં જન્મ દુર્લભ છે. એ ભૂમિમાં જન્મ મળ્યા પછી એ ભૂમિની મહતા કોણ સમજાવે ? રામના ઉપાસકોનું આ કામ છે.

સાગર જેવા ગંભીર, આકાર જેવા વિશાળ અને હિમાલય જેવા ઉદાત શ્રીરામ ગુણો જીવનમાં લાવી સંસ્કૃતિ સમાજમાં ટકાવી રાખવી કૃતનિશ્ચય બનીએ તો જ રામના ઉપાસક સાચા કહેવાઈ.