Site icon Revoi.in

રમા દેવી પર વિવાદીત ટીપ્પણી બદલ લોકસભામાં એસપીના સાંસદ આઝમખાને માફી માંગી

Social Share

સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાને ભાજપના સાંસદ રમા દેવી પર વિવાદીત ટીપ્પણી બદલ લોકસભા પટલ પર માફી માગી લીધી છે. ગૃહની કાર્યવાહી શરૂ થતા જ આઝમખાને લોકસભાના સ્પીકરને સંબોધિત કરતા કહ્યુ કે જો તેમના નિવેદનથી કોઈને તકલીફ પહોંચી છે, તો તેઓ માફી માગે છે.

આટલું બોલ્યા બાદ આઝમ ખાન બેઠક પર ગયા. પરંતુ ભાજપના સાંસદો હંગામો કરવા લાગ્યા. ભાજપના સાંસદોએ આઝમખાનના હાવભાવ પર સવાલ ઉઠાવ્યો હતો. તે વખતે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને સાંસદ અખિલેશ યાદવે ઉન્નાવ રેપ પીડિતાના અકસ્માતનો મામલો ઉઠાવ્યો હતો અને કહ્યુ હતુ કે ભાજપે આના પર ધ્યાન આપવું જોઈએ.

ભાજપના સાંસદોએ અખિલેશ યાદવની ટીપ્પણી સામે વાંધો વ્યક્ત કર્યો હતો. બાદમાં સ્પીકર ઓમ બિરલાએ આઝમખાનને ફરીથી રમા દેવીની માફી માગવા માટે જણાવ્યું હતું.

સમાજવાદી પાર્ટીના સાંસદ અખિલેશ યાદવ અને આઝમખાન લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને મળવા માટે પહોંચ્યા હતા. ઓમ બિરલાના કાર્યાલયમાં ભાજપના સાંસદ રમા દેવી પણ હાજર છે. જણાવવામાં આવે છે કે આઝમખન, સ્પીકરના કાર્યાલયમાં રમા દેવીની માફી માંગે તેવી શક્યતા છે. મહત્વપૂર્ણ છે કે 25 જુલાઈએ આઝમખાને ગૃહમાં રમા દેવી પર વિવાદીત ટીપ્પણી કરી હતી.

25 જુલાઈએ લોકસભામાં ટ્રિપલ તલાક પર ચર્ચા દરમિયાન ભાજપના સાંસદ રમાદેવી ગૃહની અધ્યક્ષતા કરી રહ્યા હતા. તે વખતે આઝમ ખાને વિવાદાસ્પદ ટીપ્પણી કરી હતી. આઝમખાનની આ ટીપ્પણી બાદ ગૃહની અંદર અને બહાર ખૂબ હંગામો થયો હતો. ભાજપ સહીત ઘણી પાર્ટીઓના સાંસદોએ આઝમખાનની વિરુદ્ધ કાર્યવાહીની માગણી કરી હતી. સ્પીકરે શુક્રવારે આ મુદ્દા પર ઘણાં પક્ષોના નેતાઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં સંમતિ બની હતી કે આઝમખાને શિવહર બેઠક પરથી સાંસદ રમા દેવીની માફી માંગવા માટે કહેવામાં આવે.