Site icon Revoi.in

ભારત એક હિંદુ રાષ્ટ્ર અને તેની સાથે કોઈ સમજૂતી નહીં, હનુમાન અને શિવાજી RSSના આદર્શ : મોહન ભાગવત

Social Share

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે મંગળવારે એક કાર્યક્રમ દરમિયાન કહ્યુ છે કે ભારતની ભક્તિ કરનારો દરેક વ્યક્તિ હિંદુ છે. સંઘની વિચારધારા સંદર્ભે વાત કરતા આરએસએસના પ્રમુખે કહ્યુ છે કે તે સ્થાનિક નથી, પરંતુ પ્રગતિશીલ છે. એબીવીપી સાથે જોડાયેલા એક વરિષ્ઠ પ્રચારક સુનીલ આંબેકરના પુસ્તક – ધ આરએસએસ- રોડમેપ ફોર 21 સેન્ચ્યુરી-ના વિમોચન પ્રસંગે તેમણે આ વાત કહી હતી. પાકિસ્તાન અને તેના વડાપ્રધાન ઈમરાન ખાન સતત સંઘ પર આક્રમક વાકપ્રહાર કરી રહ્યા છે અને આંતરરાષ્ટ્રીય મંચો પર પણ આરએસએસને લઈને બકવાસ કરી ચુક્યા છે.

આરએસએસના પ્રમુખે કહ્યુ છે કે સંઘે હિંદુ બનાવ્યા નથી, પરંતુ આ તો હજારો વર્ષોથી ચાલ્યું આવે છે. તેમણે જણાવ્યુ કે સંઘે બહારથી આવેલા લોકોને પણ અપનાવ્યા છે. તેમણે કહ્યુ છે કે દેશ, કાળ અથવા પરિસ્થિતિને અનુરૂપ અત્યાર સુધી સંઘમાં પરિવર્તન થતું આવ્યું છે અને આ પ્રગતિશીલ સંગઠન છે. તેમણે કહ્યુ છે કે જે પણ ભારતની ભક્તિ કરે છે અને તેમા ભારતીયતા બનેલી છે તો તે હિંદુ છે. સંઘ પ્રમુખે તેને સંઘની સતત વિચારધારા ગણાવતા કહ્યુ છે કે આ વાતને લઈને કોઈ ભ્રમ પળવામાં આવે નહીં.

ભાગવતે સંઘ દ્વારા કરવામાં આવેલી કામગીરીની પણ ચર્ચા કરી છે. આરએસએસમાં લોકશાહી સંદર્ભે તેમણે વાત કરતા કહ્યુ છે કે અહીં તમામની સંમતિ બાદ જ કોઈ દિશામાં આગળ વધવામાં આવે છે. તેમણે લોકોને એવું નહીં વિચારવાની સલાહ આપી છે કે સંઘ જ બધું કરે. તેમણે કહ્યુ છે કે આ વિચાર બનવો જોઈએ નહીં કે સંઘના કારણે જ બધું થઈ રહ્યું છે. તેમણે કહ્યુ છે કે ભારત એક હિંદુ રાષ્ટ્ર છે અને તેની સાથે કોઈ સમજૂતી થઈ શકે નહીં. આરએસએસના પ્રમુખે કહ્યુ છે કે સંઘને જો સમજવામાં આવી શકે છે, તો તેના સંસ્થાપક ડૉ. હેડગેવારના જીવનથી. અમારા માટે ઝંડો મહત્વપૂર્ણ છે. ભગવાન હનુમાન અને છત્રપતિ શિવાજી અમારા આદર્શ છે. અમારે ત્યાં દેશકાળ, સમય અને પરિસ્થિતિની કસોટી પર સામુહિક સંમતિથી નિર્ણય લેવામાં આવે છે. વિચારોમાં મતભેદ થઈ શકે છે. પરંતુ મનભેદ થતો નથી. લોકો પોતાના વિચાર રાખવા અને લખવા માટે સ્વતંત્ર છે. કોઈપણ સ્વયંસેવક પોતાનો અભિપ્રાય રાખી શકે છે. પરંતુ જ્યારે નિર્ણયોની વાત આવે છે, તો તે સંમતિથી થાય છે. મારી પાસે પણ સંઘની વ્યાખ્યા માટે શબ્દ નથી. હું પણ આ દાવો કરી શકું નહીં કે સંઘને સમજી શક્યો છું.

આરએસએસ પ્રમુખે કહ્યુ છે કે સંઘમાં સામેલ થવા માટે શરતો થોપવામાં આવતી નથી. તેમણે સમલૈંગિકો તરફ ઈશારો કરતા કહ્યુ છે કે તેઓ તમામ મનુષ્ય છે અને તેમના તમામનું સમાજમાં સ્થાન છે. તેમણે મહાભારત યુદ્ધની ચર્ચા કરતા શિખંડીની વાત કરી છે. તેમણે કહ્યુ છે કે તે સમયે પણ અર્જુનને તેની પાછળ ઉભા રહેવું પડયું હતું. આ દર્શાવે છે કે સમાજમાં સૌનું પોતપોતાનું સ્થાન છે.