Site icon Revoi.in

ગુજરાતમાં દર 6 મહિને ફાયર સેફ્ટી NOC રિન્યુઅલ કરાવી પડશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી આગના બનાવોમાં વધારો થયો છે. અમદાવાદમાં બે મહિના પહેલા એક હોસ્પિટલમાં લાગેલી આગમાં આઠ દર્દીઓના મોત થતા તંત્ર હરકતમાં આવ્યું હતું. તેમજ ફાયરસેફ્ટીને લઈને હોસ્પિટલો અને હાઈરાઈઝ ઈમારતોને નોટિસ આપવામાં આવી હતી. દરમિયાન સરકાર દ્વારા દરેક હાઈરાઈઝ બિલ્ડિંગ, ઉંચા મકાનો, વાણિજ્યક સંકુલ, સ્કૂલ- કોલેજ,હોસ્પિટલ્સ, ઔદ્યોગિક એકમો માટે ફાયર સેફટી એન.ઓ.સી. મેળવવાનું અને દર છ મહિને તેનું રિન્યુઅલ ફરજિયાત કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્ય સરકાર દ્વારા ઇજનેરોને જરૂરી તાલીમ બાદ ફાયર સેફ્ટી ઓફિસર તરીકે પ્રેક્ટિસ કરવા પરવાનગી આપશે. આ અધિકારીઓ પાસેથી દરેક મકાન માલિક, કબજેદારો, ફેક્ટરી ધારકોએ એન.ઓ.સી. મેળવવાનું અને દર છ મહિને રિન્યુઅલ કરાવવું પડશે. તેમજ નગરો અને મહાનગરોમાં આવા સ્વતંત્ર પ્રેક્ટિસ કરતા ફાયર સેફ્ટી ઓફિસરની પેનલ તૈયાર કરવામાં આવશે. મિલકત માલિકો-કબજેદારો પોતાની પસંદગી મૂજબના ફાયર સેફ્ટી અધિકારીની સેવાઓ મેળવી શકશે.

રાજ્યમાં આવેલા અંદાજે 5 લાખથી વધુ મકાનો, વાણિજ્યિક સંકુલ, શાળા-કોલેજો, હોસ્પિટલ, ઔદ્યોગિક એકમોને રાજ્ય સરકારના આ નિર્ણયથી એન.ઓ.સી. મેળવવાનું અને દર છ માસે રિન્યુઅલ કરાવવાનું રહેશે.