Site icon Revoi.in

રામનગરી અયોધ્યા પર આતંકી હુમલાની શક્યતાનો ઓછાયો, હાઈ-એલર્ટ ઘોષિત

Social Share

અયોધ્યા: મધ્યપ્રદેશ ઈન્ટેલિજન્સે યુપી પોલીસને ઈનપુટ્સ આપ્યા છે કે આતંકવાદી સંગઠન હવે ભગવા વેશમાં આવીને યુપીમાં મોટી આતંકી ઘટના કરવાની ફિરાકમાં છે. આ ઈનપુટ્સ બાદ આતંકી હુમલાની દ્રષ્ટિએ સંવેદનશીલ ગણાતી રામનગરી અયોધ્યામાં હાઈ એલર્ટ જાહેર કરીને તેની સુરક્ષામા વધારો કરવામાં આવ્યો છે.

સાધુવેશમાં આતંકી હુમલાની શક્યતાના ઈનપુટ્સ બાદ અયોધ્યામાં હાઈ એલર્ટ ઘોષિત થયા બાદ પોલીસ અધિકારીઓ સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી રહ્યા છે. અયોધ્યાના સીઓ દિનેશ દ્વિવેદીની આગેવાનીમાં પ્રશાસનિક તંત્રે રામનગરીમાં સઘન ચેકિંગ અભિયાન ચલાવ્યું છે અને વાહનો, હોટલો, ધર્મશાળાઓ વગેરેનું ચેકિંગ પણ કર્યું છે. શ્રીરામ હોસ્પટિલ, હનુમાનગઢી, કોતવાલી અયોધ્યા વગેરે વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું છે.

અયોધ્યાના સીઓ દિનેશ દ્વિવેદીએ કહ્યુ છે કે ઈનપુટ્સ મળ્યા બાદ રામનગરીની સુરક્ષા વધારી દેવામાં આવી છે. સુરક્ષાકર્મીઓને સતર્ક રહેવાના નિર્દેશ પણ આપવામાં આવ્યા છે. ગુપ્તચર ટીમો અને બીડીએસની ટુકડીઓ પણ સક્રિય છે. હોટલ, ધર્મશાળા, મઠ-મંદિરોમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, અહીં રોકાયેલા લોકોની ઓળખનું વેરિફિકેશન પણ કરાઈ રહ્યું છે. માલિકોને નિર્દેશ આપવામાં આવ્યા છે કે કોઈપણ અપરિચિત વ્યક્તિને તેના ઓળખ કાર્ડ વગર મઠ-મંદિરો, હોટલો અને ધર્મશાળામાં ઉતારો આપવામાં આવે નહીં. તેમણે કહ્યુ છે કે ભગવા વેશમાં આતંકી હોવાની વાતની માહિતી સંત સમાજને પણ આપવામાં આવી છે. તેમને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે.