Site icon Revoi.in

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું : સરકારની ગાઈડલાઈનનું પાલન નહીં કરતા એકમો સામે કાર્યવાહી

Social Share

અમદાવાદઃ સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. દરમિયાન 24 કલાકમાં વધુ 285 જેટલા કેસ નોંધાયાં હતા. આમ રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકડો વધીને 10 હજારને પાર થયો છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોના વાયરસના સૌથી વધારે કતારગામ અને વરાછા ઝોન બીમાં 30-30 કેસ નોંધાયાં હતા. સુરત શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના વાયરસને મહાત આપીને 6600થી વધારે દર્દીઓ સાજા થયાં છે. બીજી તરફ સુરતમાં સરકારી ગાઈડલાઈનનું પાલન નહીં કરતા એકમો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. દરમિયાન 28 જેટલા ડાયમંડ યુનિટોમાં તપાસ કરવામાં આવી હતી. જેથી 9 યુનિટોમાં નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું સામે આવતા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.

સુરતમાં અનલોકના અમલની સાથે જ વેપાર-ધંધા શરૂ થયાં હતા. તેની સાથે જ કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું છે. છેલ્લા 19 દિવસથી કોરોનાનું સંક્રમણ વધારે જોવા મળ્યું છે. આ સમયગાળામાં પાંચ હજારથી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જ્યારે 245 દર્દીઓના મોત થયાં છે. સુરતમાં 31 મે સુધીમાં 1725 કેસ નોંધાયા હતા. જ્યારે જુન મહિનામાં 3535 કેસ નોંધાયા હતા. જુલાઇ મહિનામાં કોરોના વાયરસે અજગર ભરડો લીધો હોય તેમ માત્ર 19 દિવસમાં પાંચ હજારથી વધારે કેસ નોંધાયાં છે.

સુરતમાં કોરોના વાયરસના કેસ વધતા લોકોમાં ફફડાટ ફેલાઈ રહ્યો છે. જેથી હિરા માર્કેટ અને ટેક્સટાઈલ્સ માર્કેટમાં પણ તેની અસર જોવા મળી રહી છે. જેના પરિણામે રત્નકલાકારોની આર્થિક હાલત ગંભીર બની છે. તેમજ તેઓ પોતાના વતન તરફ જઈ રહ્યાં છે. બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાયરસનું સંક્રમણ વધારે ફેલતું અટકાવવા માટે પગલા ભરવામાં આવી રહ્યાં છે. દરમિયાન મહાનગરપાલિકાના અધિકારીઓ અને શ્રમ વિભાગના અધિકારીઓની પણ એક ટીમની રચના કરાઇ છે. આ ટીમે અસરગ્રસ્ત વરાછા વિસ્તારમાં અને ડાયમંડ યુનિટનું ચેકિંગ હાથ ધર્યું હતું.