Site icon Revoi.in

અયોધ્યામાં રામજન્મભૂમિ વિવાદનો મામલો: પક્ષકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ ન્યાયિક પહેલની કરી માગણી

Social Share

નવી દિલ્હી: રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ મામલામાં મંગળવારે સુપ્રીમ કોર્ટમાં ઝડપી સુનાવણીની અપીલ કરી છે. આ મામલાના પક્ષકારોમાંથી એક ગોપાલસિંહે પોતાની અરજીમાં દાવો કર્યો છે કે મધ્યસ્થતાથી વિવાદનું સમાધાન થતું દેખાય રહ્યું નથી. મધ્યસ્થતાનો તબક્કો પણ ઠપ્પ થઈ ગયો છે. તેવામાં આ મામલાની જલ્દી સુનાવણી થાય. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે અમે આ મામલાને જોઈશું. સુપ્રીમ કોર્ટે મામલા પર વિચારણા કરવાની વાત કહી છે.

અયોધ્યામાં રામમંદિર-બાબરી મસ્જિદ વિવાદને ઉકેલવા માટે સુપ્રીમ કોર્ટ હિંદુ-મુસ્લિમ બંને પક્ષકારોને કહી ચુકી છે કે જો સંભવ બને તો મામલાને મધ્યસ્થતાથી જ ઉકેલવામાં આવે.

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ ન્યાયાધીશોની ખંડપીઠે કહ્યું છે કે અમે અયોધ્યા જમીન વિવાદ અને તેના પ્રભાવને ગંભીરતાથી સમજીએ છીએ અને જલ્દીથી નિર્ણય આપવા માંગીએ છીએ. જો પાર્ટીઓ મધ્યસ્થોના નામ સૂચવવા ઈચ્છતી હોય, તો તે આપી શકે છે.

જો કે હિંદુ મહાસભા મધ્યસ્થતાની વિરુદ્ધ છે. જ્યારે નિર્મોહી અખાડા અને મુસ્લિમ પક્ષકાર મધ્યસ્થતા માટે રાજી છે. મુસ્લિમ પક્ષકારે કોર્ટમાં કહ્યુ છે કે સુપ્રીમ કોર્ટ જ નક્કી કરે કે વાતચીત કેવી રીતે થાય ?