Site icon Revoi.in

સિંદૂર લગાવવા પર જાહેર થયો હતો ફતવો, હવે જગન્નાથ રથયાત્રામાં ચીફ ગેસ્ટ બનશે નુસરત જહાં!

Social Share

ટીએમસી સાંસદ અને બંગાળી એક્ટ્રેસ નુસરત જહાં લગ્ન બાદ ચર્ચામાં છે. તેનું કારણ છે નુસરત જહાંના લગ્ન બાદ સિંદૂર લગાવવું, મંગળસૂત્ર પહેરવું. 17મી લોકસભાના સત્રમાં નુસરત જહાં સંસદમાં શપથ લેતી વખતે સિંદૂર અને હાથમાં બંગડી પહેરીને પહોંચ્યા હતા. નુસરતના પહેરવેશને લઈને વિવાદ શરૂ થયો હતો.

મુસ્લિમ ધર્મગુરુઓના એક સમૂહે તો નુસરત જહાંના પહેરવેશને બિનઈસ્લામિક ગણાવીને ફતવો પણ જાહેર કર્યો હતો. તો હવે અહેવાલ છે કે આંતરરાષ્ટ્રીય સંસ્થા ઈસ્કોને નુસરત જહાંના ભગવાન જગન્નાથની રથયાત્રામાં મુખ્ય અતિથિ બનવાનું નિમંત્રણ આપ્યું છે.

કોલકત્તામાં ભગવાન જગન્નાથની રથયાત્રા આ ગુરુવારે એટલે કે ચોથી જુલાઈએ યોજાવાની છે. રિપોર્ટ્સ પ્રમાણે, રથયાત્રાની શરૂઆત મુખ્યપ્રધાન મમતા બેનર્જી કરશે. આ રથયાત્રમાં નુસરત જહાંને ચીફ ગેસ્ટ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે.

ઈસ્કોનના પ્રવક્તાએ નુસરતને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવાના સવાલ પર કહ્યુ છે કે અમે તમામ ધર્મોને માનનારા લોકો છીએ. નુસરતના વિચાર અમારા વિચારોથી મળે છે. તે પણ તમામ ધર્મોનો આદર કરે છે. તેવામાં એખ નવા રાજનેતા તરીકે તેઓ નિશ્ચિતપણે આજના યુવાનોને પોતાના વિચારોથી પ્રભાવિત કરશે. આમ વિચારીને અમે તેમને આ નિમંત્રણ આપ્યું છે.

નુસરત જહાંની વિરુદ્ધ તાજેતરના દિવસોમાં પહેરવેશના મામલે ફતવો જાહેર કરવામાં આવ્યો હતો. તેના સમર્થનમાં તેમના નજીકના મિત્ર અને સાંસદ મિમી ચક્રવર્તી સાથે નજરે પડયા હતા.

મિમી ચક્રવર્તીએ નુસરત જહાંનું સમર્થન કરતા કહ્યું હતું કે દરેકના અંગત જીવનનું સમ્માન થવું જોઈએ અને મહિલાઓને યોગ્ય આદર આપવો જોઈએ.

મિમી ચક્રવર્તીએ કહ્યું હતું કે મે મારી દોસ્તનું સમર્થન કર્યું છે અને આગળ પણ આમ કરતી રહીશ, ચાહે તે સિંદૂર લગાવે અથવા બંગડી પહેરે. દરેકની અંગત જિંદગીનું સમ્માન થવું જોઈએ. અમને તો જીન્સ પહેરવા બદલ પણ ટ્રોલ કરી દેવામાં આવ્યા હતા. મહિલાઓને સમ્માન આપવું જોઈએ અને અમે ભારતનું પ્રતિનિધિત્વ કરીએ છીએ.

મહત્વપૂર્ણ છે કે નુસરત જહાંએ 19 જૂને વ્યાપારી નિખિલ જૈન સાથે લગ્ન કર્યા હતા. નુસરત જહાંએ લગ્નની ઘણી તસવીરો સોશયલ મીડિયા પર શેયર કરી હતી.