Site icon Revoi.in

ગુજરાતમાં એક વર્ષમાં લાંચિયા અધિકારીઓ સામે 255 કેસ નોંધાયાં !

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ભ્રષ્ટાચારને અટકાવવા માટે સરકાર અને લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન વર્ષ 2019માં ગુજરાતમાં લાંચિયા અધિકારીઓ સામે 255 જેટલી ફરિયાદ એસીબીમાં નોંધાઈ છે. દેશમાં સૌથી વધારે લાંચિયા અધિકારીઓ સામે મહારાષ્ટ્રમાં 891 જેટલા કેસ નોંધાયાં હતા.

સુત્રોના જણાવ્યા અનુસાર વર્ષ 2019માં ગુજરાતમાં છટકું ગોઠવીને 196 લાંચિયા બાબુઓને ઝડપી લેવામાં આવ્યાં હતા. જ્યારે અપ્રમાણસર સંપત્તિના 18 કેસ, ગુનાહિત કામગીરીના 6 મળીને કુલ 255 કેસ નોંધાયા છે. જેની સામે વર્ષ 2018માં આવી 333 ફરિયાદો નોંધાઈ હતી. આમ ગુજરાતમાં સરકાર દ્વારા ભ્રષ્ટાચારીઓ અધિકારીઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવતા ભ્રષ્ટાચારના બનાવમાં વધારો થયો હોવાનું મનાઈ રહ્યું છે. આ ઉપરાંત ગુજરાતમાં ગત વર્ષે ભ્રષ્ટાચારના કેસ મામલે 20ને સજા થઈ હતી જ્યારે 39ને નિર્દોષ જાહેર કરાયા હતા.

દેશમાં ભ્રષ્ટાચારની સૌથી વધારે ફરિયાદ મહારાષ્ટ્રમાં નોંધાઈ હોવાનું જાણવા મળે છે. મહારાષ્ટ્રમાં લાંચિયા બાબુઓ સામે 891 જેટલા ગુના નોંધાયાં છે. આવી જ રીતે રાજસ્થાનમાં 424, તમિલનાડુમાં 418, કર્ણાટકમાં 379, ઓરિસ્સામાં 353, મધ્યપ્રદેશમાં 318, તેલંગાણામાં 177, પંજાબમાં 169 અને ઉત્તરપ્રદેશમાં 134 ગુના નોંધાયાં છે. જ્યારે નાગાલેન્ડ, મિઝોરમ અને સિક્કિમમાં ભ્રષ્ટાચારની એકપણ ફરિયાદ નોંધાઈ નથી. આ ઉપરાંત ત્રિપુરા, ગોવા અને અરૂણાચલ પ્રદેશમાં પણ ભ્રષ્ટાચારનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાનું જાણવા મળ્યું છે.