Site icon Revoi.in

ભારત-પાકિસ્તાનના તણાવ મામલે સારા સમાચાર, સંઘર્ષ સમાપ્ત થવાની આશા: ટ્રમ્પ

Social Share

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ છે કે ટૂંક સમયમાં સારા સમાચાર આવવાના છે. ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન સાથે વિયતનામમાં શિખર બેઠકથી અલગ ટ્રમ્પે કહ્યુ છે કે ભારત-પાકિસ્તાનના ઘર્ષણ મામલે સારા સમાચાર છે. આશા છે કે આ સમાપ્ત થવાનો છે. બ્લૂમબર્ગ એશિયાએ ટ્રમ્પના આ નિવેદનને ટ્વિટ કર્યું છે.

14મી ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી આતંકી હુમલામાં 44 જવાનો શહીદ થયા હતા. તેના પછી બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ છે. અમેરિકા, ચીન સહીતના તમામ દેશો ભારત અને પાકિસ્તાનને સંયમ રાખવાની સલાહ આપી રહ્યા છે. પુલવામા હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે સ્વીકારી છે. જૈશ-એ-મોહમ્મદ પાકિસ્તાની આતંકી સંગઠન છે અને મંગળવારે સવારે ભારતીય વાયુસેનાએ આતંકી સંગઠનના બાલાકોટ ખાતેના તાલીમ કેન્દ્રને હવાઈ હુમલાથી નિશાન બનાવીને 350 જેટલા આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા.

બુધવારે પાકિસ્તાને ભારતીય સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે. જેના કારણે તણાવમાં વધારો થયો છે. હુમલાની કોશિશમાં સામેલ પાકિસ્તાનના દશ એફ-16 યુદ્ધવિમાનોને ભારતીય વાયુસેનાના યુદ્ધવિમાનોએ ખદેડયા હતા. આ લડાઈમાં પાકિસ્તાનનું એક એફ-16 તોડી પાડવામાં આવ્યું હતું અને તેનો કાટમાળ પીઓકેમાં પડયો હતો.  આમા ભારતનું એક મિગ-21 પણ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને તેના પાયલટ વિંગ કમાન્ડર અભિનંદન ગુમ થયા હતા. પાકિસ્તાને દાવો કર્યો હતો કે ભારતીય પાયલટ તેનકબજા હેઠળ છે. ભારતે ઈસ્લામાબાદને તાત્કાલિક વિંગ કમાન્ડર અભિનંદનને છોડવાની અપીલ કરી છે.