Site icon Revoi.in

દેશના વિવિધ રાજ્યોથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચવા ટ્રેનો દોડાવાશે

Social Share

અમદાવાદઃ કેવડિયા ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થળે જવા ઈચ્છતા પ્રવાસીઓની સુવિધા મળી રહે તે માટે રેલવે સ્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 જાન્યુઆરીએ કેવડિયા રેલવે સ્ટેશન સહિત અન્ય નવા તૈયાર કરાયેલા સ્ટેશનનું દિલ્હીથી ઓનલાઈન લોકાર્પણ કરશે. જેમાં અમદાવાદ સહિત ઉપરાંત દિલ્હી, વારાણસી, ચેન્નઈ, રીવા, દાદર અને પ્રતાપનગરથી કુલ 10 નવી ટ્રેનોને પણ ઝંડી આપી કેવડિયા માટે રવાના કરાશે.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાથી કેવડિયા સુધી ગેજ કન્વર્ઝન, નવી લાઈન તેમજ પ્રતાપનગરથી કેવડિયા સુધીના ટ્રેકનું ઈલેક્ટ્રિફિકેશન પણ કરવામાં આવ્યું છે. તેની સાથે જ ડભોઈ, ચાણોદ સ્ટેશન નવા તૈયાર કરવાની સાથે કેવડિયા સુધીની નવી લાઈન પર મોરિયા, તિલકવાડા, ગરૂડેશ્વર તેમજ કેવડિયા સ્ટેશન તમામ પેસેન્જર સુવિધાઓ સાથે નવા તૈયાર કરાયા છે. આ કામગીરી લગભગ પૂર્ણ થતા વડાપ્રધાન 17મીએ દિલ્હીથી વિડિયો કોન્ફરન્સ દ્વારા કેવડિયાના તમામ રેલવે પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.

કેવડિયા પ્રોજેક્ટના લોકાર્પણની સાથે જ કેવડિયા માટે એક સાથે 10 નવી ટ્રેનો શરૂ કરાશે. જેમાં અમદાવાદથી બે જનશતાબ્દી એક્સપ્રેસ, પ્રતાપનગર (વડોદરા)થી કેવડિયા માટે 3 ડેલી ડેમુ ટ્રેન, હઝરત નિઝામુદ્દીનથી કેવડિયા (સપ્તાહમાં બે દિવસ), ચેન્નઈથી કેવડિયા સાપ્તાહિક એક્સપ્રેસ, વારાણસીથી કેવડિયા મહામના સાપ્તાહિક સુપરફાસ્ટ, રિવાથી કેવડિયા મહામના સાપ્તાહિત સુપરફાસ્ટ એક્સપ્રેસ તેમજ દાદરથી કેવડિયા ડેઈલી એક્સપ્રેસ ટ્રેનને પણ ઝંડી આપી તેઓ કેવડિયા માટે પ્રસ્થાન કરાવશે.