Site icon Revoi.in

નેતાઓ વિરુદ્ધ ECની કાર્યવાહી પર સુપ્રીમે કહ્યું- લાગે છે ચૂંટણીપંચને પોતાની શક્તિઓ યાદ આવી ગઈ

Social Share

ચૂંટણીપંચે વિવાદાસ્પદ નિવેદનો આપવાના મામલે બીજેપી ઉમેદવાર મેનકા ગાંધી, સપાના કદાવર નેતા આઝમ ખાન, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બસપા પ્રમુખ માયાવતીના ચૂંટણીપ્રચાર પર અસ્થાયી પ્રતિબંધ લગાવી દીધો છે. ચૂંટણી આચારસંહિતાના સતત ઉલ્લંઘન પર સુપ્રીમ કોર્ટના ઠપકા પછી ચૂંટણીપંચ એક્શનમાં આવ્યું અને નેતાઓના ચૂંટણીપ્રચાર પર પ્રતિબંધ મૂકી દીધો.

ઇસી દ્વારા કાર્યવાહી થવા પર સંમતિ દર્શાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે લાગે છે કે ચૂંટણીપંચને પોતાની શક્તિઓ યાદ આવી ગઈ છે. આ સ્થિતિમાં હવે કોર્ટે હવે કોઇપણ ઇન્ટરિમ આદેશ આપવાની જરૂર નથી રહી.

ઉલ્લેખનીય છે કે ચૂંટણીપંચે સૌથી પહેલા યોગી આદિત્યનાથ અને માયાવતી પર કડક કાર્યવાહી કરી. ઇસીએ સીએમ યોગીના અલી-બજરંગબલી અને માયાવતીના મુસ્લિમો પર આપેલા નિવેદનને આચારસંહિતાનું ઉલ્લંઘન માનીને તેમના પર અલગ-અલગ સમયમર્યાદા માટે પ્રચાર પર પ્રતિબંધ લગાવ્યો.

આ ઉપરાંત ચૂંટણીપંચે કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી અને સપાના વરિષ્ઠ નેતા આઝમ ખાન પર પણ અલગ-અલગ સમયમર્યાદા માટે પ્રચાર પર પ્રતિબંધ લગાવ્યો છે. આઝમ ખાન પર જયાપ્રદા વિરુદ્ધ ટિપ્પણી કરવા મામલે અને મેનકા ગાંધી પર મુસ્લિમો અંગે વિવાદાસ્પદ નિવેદન મામલે પ્રચાર પર પ્રતિબંધ મૂક્યો છે.