Site icon Revoi.in

IIT દિલ્હી સામેનો 47 વર્ષ જૂનો કેસ જીતી ગયા સુબ્રમણ્યમ સ્વામી, પગારના 40 લાખ રૂપિયાથી વધુ મળશે

Social Share

ભાજપના નેતા સુબ્રણ્યમ સ્વામી ગત 47 વર્ષથી આઈઆઈટી-દિલ્હી સામે ચાલી રહેલી કાયદાકીય લડાઈ જીતી ગયા છે. દિલ્હીની એક સ્થાનિક અદાલતે સોમવારે આદેશ કર્યો છે કે આઈઆઈટી દિલ્હી સુબ્રમણ્યમ સ્વામીને 1972થી 1991ના સમયગાળા દરમિયાનની સેલરીની ચુકવણી કરે. કોર્ટે સંસ્થાને એવો પણ આદેશ આપ્યો છે કે બાકી રકમની ચુકવણી આઠ ટકા વાર્ષિક વ્યાજ સાથે કરવામાં આવે.

એક અંગ્રેજી વેબસાઈટે સુબ્રમણ્યમ સ્વામીના વકીલને ટાંકીને જણાવ્યું છે કે આ રકમ લગભગ 40થી 45 લાખ રૂપિયા વચ્ચે બેસે છે. બીજી તરફ આઈઆઈટી દિલ્હીના અધિકારીઓ મુજબ, હવે આ મામલો સંસ્થાના બોર્ડ ઓફ ગવર્નર્સ પાસે જશે, તે આગળની રણનીતિ નક્કી કરશે.

રાજનીતિમાં સક્રિય થતા પહેલા સ્વામી આઈઆઈટીમાં ત્રણ વર્ષ 1969થી 1972 સુધી અર્થશાસ્ત્ર ભણાવતા હતા. 1972માં સંસ્થાએ સ્વામીને બરતરફ કર્યા હતા. સંસ્થા અને સ્વામી વચ્ચે ઘણીવાર ટકરાવ થવાને કારણે આમ થયું હોવાનું માનવામાં આવે છે. દિલ્હીની એક અદાલતના એક નિર્ણય બાદ સુબ્રમણ્યમ સ્વામીની 1991માં ફરીથી બહાલી થઈ હતી.

સુબ્રમણ્યમ સ્વામીનું કહેવુ છે કે તેમના હટાવવાની બાબત રાજકારણથી પ્રેરીત હતી. માટે તેઓ પોતાના લેણાના રૂપિયાની માગણી કરી રહ્યા હતા. આ લાંબા કાયદાકીય લડાઈમાં મળેલી જીત બાદ સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરીને કહ્યુ છે કે આ નિર્ણય શિક્ષણમાં વ્યાપ્ત વિકૃત માનસિકતાના લોકો માટે એક ઉદાહરણ રજૂ કરશે.

મહત્વપૂર્ણ છે કે સુબ્રમણ્યમ સ્વામીએ વાર્ષિક 18 ટકાના વ્યાજ સાથે પોતાના લેણાના રૂપિયાની માગણી કરી હતી. જો કે અદાલતે આઠ ટકા વાર્ષિક વ્યાજદરથી ચુકવણીનો આદેશ આપ્યો છે. દશકાઓથી ચાલી રહેલી કાયદાકીય લડાઈમાં કોઈ નિષ્કર્ષ નહીં નીકળ્યા બાદ કથિતપણે માનવ સંસાધન વિકાસ મંત્રાલયે પણ દખલગીરી કરી હતી. એક અંગ્રેજી વેબસાઈટના રિપોર્ટ પ્રમણે,એચઆરડીએ કથિતપણે આઈઆઈટીને કહ્યું હતું કે તેઓ આ મામલાને કોર્ટની બહાર ઉકેલવાની કોશિશ કરે, પરંતુ સંસ્થાએ આનો ઈન્કાર કર્યો હતો.