Site icon Revoi.in

રાજ્ય સરકારે ધો.9-12નો અભ્યાસક્રમ 30% સુધી ઘટાડવાનો લીધો નિર્ણય, આ તારીખે યોજાશે ધો.10-12ની પરીક્ષા

Social Share

ગાંધીનગર:  રાજ્યોમાં હાલ કોરોના સંકટને કારણે શાળાઓ ખોલવામાં આવી નથી પરંતુ હાલમાં શાળાઓ ઓનલાઇન શરૂ છે ત્યારે હવે આ સ્થિતિમાં રાજ્ય સરકારે ધોરણ 9-12ના વિદ્યાર્થીઓને રાહતના સમાચાર આપ્યા છે. સરકારે અભ્યાસક્રમ ઘટાડવાનો નિર્ણય કર્યો છે. જ્યારે કોરોના મહામારી વચ્ચે સરકાર દ્વારા ધો. 10 અને 12ની પરીક્ષા મે મહિનામાં યોજવાનું અને ધો. 9 અને ધો.11ની પરીક્ષા જૂન મહિનામાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. 21મેથી ધો.10 અને 12ની પરીક્ષા શરૂ કરવામાં આવશે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગુજરાત બોર્ડ સંલગ્ન તમામ ખાનગી અને સરકારી શાળાઓમાં ધો.9-12માં વર્ષ 2020-21 માટે અંદાજીત 30 ટકા અભ્યાસક્રમ ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખાસ કરીને ધો.10-12ના વિદ્યાર્થીઓની રાહત થશે.

સરકારે ઘટાડેલા અભ્યાસક્રમમાં ઘટાડો કરતી વખતે લીંક પ્રકરણો-ટોપિક રદ્દ ન થાય તથા સ્પર્ધાત્મક પરીક્ષામાં તેની અસર ન થાય તેવી રીતે નિર્ણય લીધો હોવાનો દાવો છે. સરકારના મતે ઘટાડેલા અભ્યાસક્રમના વિષય પરીક્ષામાં નહીં પૂછાય.

સરકાર આગામી સમયમાં આ અંગેનો વિગતવાર પરિપત્ર બહાર પાડશે, જેમાં ધો.9-12ના વિષયોના અભ્યાસક્રમમાં ચાલુ રાખેલા પ્રકરણો, મુદ્દાઓ તેમજ અભ્યાસક્રમમાં રદ્દ કરેલા મુદ્દાઓની વિગતો આપવામાં આવશે. આ વિગતો તમામ જીલ્લાના જીલ્લા શિક્ષણાધિકારીઓ મારફતે રાજ્યના બોર્ડની માન્યતા ધરાવતી શાળાઓને આપવામાં આવશે.

નોંધનીય છે કે ધોરણ 9-12માં અભ્યાસક્રમ ઘટાડવા માટે અગાઉ સરકારે 23 જુલાઇ, 20 ઑગસ્ટ, 11 સપ્ટેમ્બર અને 29 સપ્ટેમ્બરના રોજ બેઠક યોજી હતી. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને આ બેઠકો યોજાઇ હતી.

(સંકેત)