Site icon Revoi.in

શ્રીલંકામાં બોમ્બ બ્લાસ્ટ્સ પછી તમિલનાડુમાં રેડ એલર્ટ, સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી

Social Share

શ્રીલંકામાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ્સ પછી ભારતીય રાજ્ય તમિલનાડુના મહત્વપૂર્ણ સ્થળોની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. ઘણા સ્થળોએ વધારાના પોલીસદળ તહેનાત કરવામાં આવ્યા છે અને દરિયાઈ સરહદો પર પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. આઇબી પાસેથી રેડ એલર્ટ મળ્યા પછી રાજ્યની સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણપણે સતર્ક થઈ ગઈ છે.

શ્રીલંકામાં થયેલા બ્લાસ્ટ્સ પછી તમિલનાડુમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મસ્જિદ, મંદિર, ચર્ચ અને મહત્વપૂર્ણ સ્થળો પર વધારાના સુરક્ષાકર્મીઓને તહેનાત કરવામાં આવ્યા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચેન્નાઈ, ત્રિચી, કોઈમ્બતૂર અને મદુરાઈ એરપોર્ટ પર પણ દેખરેખ વધારી દેવામાં આવી છે.

એક સિક્યોરિટી ઓફિસરે જણાવ્યું કે ભારતીય તટરક્ષકોને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે અને કિનારાના વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. આઇબી તરફથી રેડ એલર્ટ મળ્યા પછી રાજ્યના મસ્જિદો, ચર્ચો અને મંદિરોમાં સુરક્ષા જડબેસલાક કરવામાં આવી છે. સાથે જ પેટ્રોલિંગ ટીમ સતત રાજ્યના મહત્વપૂર્ણ ઠેકાણાઓ પર દેખરેખ રાખી રહી છે.