Site icon Revoi.in

રાહુલ ગાંધીનો ECને જવાબ: મારું નિવેદન આચારસંહિતાનું ઉલ્લંઘન નથી, ફરિયાદો પર નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં આવે

Social Share

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આચારસંહિતાના ઉલ્લંઘન મામલે ચૂંટણીપંચમાં જવાબ દાખલ કર્યો છે. તેમાં તેમણે શહડોલમાં આપેલા પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરી અને પંચને નિષ્પક્ષ કાર્યવાહી કરવાની સલાહ પણ આપી. રાહુલે કહ્યું કે મારું નિવેદન આદિવાસીઓ વિરુદ્ધ નહીં પરંતુ તેમના માટે મોદી સરકારે બનાવેલી નીતિઓ વિરુદ્ધ હતું. પરિણામે ભાજપની ફરિયાદને રદ કરી દેવી જોઈએ.

રાહુલે કહ્યું કે ભાષણમાં તેમણે ભારતીય વન કાયદામાં થયેલા અમેન્ડમેન્ટ્સને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. ચૂંટણીરેલીના ભાષણના લયમાં આ શબ્દો બોલી દીધા હતા. તેની પાછળ જનતાને ગેરમાર્ગે દોરવાનો કે જૂઠાણું ફેલાવવાનો કોઈ ઇરાદો ન હતો. રાજકીય દળોના નેતાઓ વિરુદ્ધ આવતી ફરિયાદો પર નિષ્પક્ષ અને સંતુલિત કાર્યવાહી થવી જોઈએ.

રાહુલે કહ્યું, “હું કોંગ્રેસનો સ્ટાર પ્રચારક છું, એટલે મારા વિરુદ્ધ આવેલી ભાજપની ફરિયાદો ફર્ત ચૂંટણી અભિયાનમાં વિઘ્નો નાખવાથી વિશેષ કશું નથી. ભાષણોમાં મોદી સરકારના કામકાજની ટીકા કરવી આચારસંહિતાનું ઉલ્લંઘન નથી. શહડોલમાં આપેલું નિવેદન ભાજપની આદિવાસી વિરોધી નીતિઓને લઇને આપવામાં આવ્યું હતું. એટલે આ ફરિયાદને રદ કરવામાં આવે.”

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણીસભાઓમાં સતત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિત ભાજપ નેતાઓ વિરુદ્ધ હુમલો કરી રહ્યા છે. ભાજપ તરફથી તેમના વિરુદ્ધ ઘણી ફરિયાદો ચૂંટણીપંચને થઈ ચૂકી છે. 1 મેના રોજ શહડોલના બે ભાજપ નેતાઓએ કોંગ્રેસ અધ્યક્ષના ભાષણને લઇને પંચ સામે વાંધો ઉઠાવ્યો હતો. રાહુલ ગાંધીએ 23 એપ્રિલના રોજ મધ્યપ્રદેશના શહડોલમાં કહ્યું હતું કે મોદી સરકાર એક એવો કાયદો લઇને આવી છે, જે હેઠળ આદિવાસીઓને ગોળી મારી શકાય છે. તેઓ તમારી જમીન અને જંગલ પર કબ્જો કરી શકે છે. ત્યારબાદ ચૂંટણીપંચે તેમને નોટિસ જાહેર કરીને જવાબ માંગ્યો હતો.