
- અનેક લોકો માસ્ક વગર ફરતા હોવાની ફરિયાદ
- દંડની રકમ વધારવા સરકારને કરાઈ રજૂઆત
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. રાજ્યમાં સૌથી વધારે પોઝિટિવ કેસ અમદાવાદમાં નોંધાયાં છે. જો કે, રાહતની વાત એ છે કે, છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જો કે, ચિંતાની વાત એ છે કે, કેટલાક લોકો માસ્ક પહેરવુ અને સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોનું પાલન નહીં કરતા હોવાની ફરિયાદો ઉઠી છે. જેથી સંક્રમણ ફેલાવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. દરમિયાન અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશને સરકારને માસ્ક ન પહેરવા પર લેવામાં આવતા દંડમાં વધારો કરવાની અપીલ કરી હતી જેમાં હવેથી ફેરફાર કરવામાં આવ્યો છે અને હવેથી રાજ્યમાં માસ્ક નહીં પહેરનારા લોકોને પકડીને રૂ. 200નો નહીં પણ રૂ.500નો દંડ વસુલવામાં આવશે.
દેશમાં કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સીંગનો અમલ કરવાની અપીલ કરવામાં આવી રહી છે. તેમજ માસ્ક પહેરવુ ફરજીયાત કરવામાં આવ્યું છે. તેમજ માસ્ક નહીં પહેરનારને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં સૌથી ઓછો રૂ. 200નો દંડ વસુલવામાં આવી રહ્યો હતો. આ બાબતે તામિલનાડુમાં સૌથી વધુ રૂ. 10,000, મહારાષ્ટ્રમાં રૂ. 1000, દિલ્હી, ઓડિશા તેમજ પંજાબમાં પણ 500થી 1000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવે છે. ત્યારે અમદાવાદમાં દર એક મિનિટે લગભગ 100 લોકો માસ્ક વગર પકડાતા હોવાનું જાણવા મળે છે. આમ હજુ અમદાવાદવાસીઓ કોરોનાને ગંભીરતાથી નહીં લેતા હોવાનું લાગી રહ્યું છે.
દરમિયાન કોરોના વાયરસના કેસ મુદ્દે અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિયેશના આગેવાનો અને ઉચ્ચ સરકારી અધિકારીઓ વચ્ચે બેઠક મળી હતી. જેમાં એસોસિએશન દ્વારા દંડની રકમમાં વધારો કરવાની માંગણી કરવામાં આવી હતી. તેમજ બેઠકમાં પણ દંડની રકમને લઈને ગંભીરતાથી વિચારણા કરવામાં આવી હતી. આ મહત્વનો નિર્ણય રાજીવ ગુપ્તાની બેઠકમાં લેવામાં આવ્યો છે.