Site icon Revoi.in

હવે રાજ્યની મહાનગરપાલિકાઓ પણ અપનાવશે અમદાવાદ મોડલ, રેપિડ ટેસ્ટ કરાશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ જેમ જેમ વધી રહ્યું છે એમ સરકાર પણ પોતની કામગીરીને વધારે સતર્ક અને કડક બનાવી રહી છે.  બે દિવસથી સતત એક હજારથી વધારે કેસ સામે આવી રહ્યાં છે અને રાજ્યમાં અત્યાર સુધીમાં 51 હજારથી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં છે. આ સમયે રાજ્યમાં કોરોનાવાયરસના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે રાજકોટ અને વડોદરા સહિતની મહાનગરપાલિકાઓમાં હવે કોરોના વાયરસના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે અભિયાન શરૂ કરવામાં આવશે.

રાજકોટ અને સુરત સહિતના શહેરોમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે અમદાવાદની જેમ રેપિડ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના કેસ સતત ઘટી રહ્યાં છે. મહાનગર પાલિકાએ કોરોના વાયરસના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે સઘન સર્વે અને ટેસ્ટીંગની કામગીરી કરી હતી. જેના કારણે મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ પણ મળી આવ્યાં હતા.

અમદાવાદમાં હાલ શહેરના વિવિધ વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રેપિડ ટેસ્ટીંગની મદદથી પોઝિટિવ કેસ શોધવામાં આવી રહ્યાં છે. શહેરના ન્યૂ ક્લોથ માર્કેટ, માણેકચોક સોની બજાર સહિત ભીડભાડવાળા વિસ્તારો અને વિવિધ એકમોમાં ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. તેમજ પોઝિટિવ કેસ મળી આવે તો તેને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવે છે. આ ઉપરાંત એએમટીએસ અને બીઆરટીએસના કર્મચારીઓના પણ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. આમ રોજના લગભગ એક હજાર જેટલા રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે.

રાજ્યના સુરત સહિતના મહાનગરપાલિકાઓમાં પણ હવે કોરોના વાયરસના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે રેપિડ ટેસ્ટ માટે સરકાર દ્વારા જરૂરી સુચના આપવામાં આવે છે. આમ શહેરી વિસ્તારોમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ શોધીને તેમને યોગ્ય સારવાર આપી શકાય. તેમજ કોરોનાનું સંક્રમણ વધારે ફેલતુ અટકાવી શકાય તેમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા રાજ્યભરમાં કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે અસરકાર પગલા ભરવામાં આવી રહ્યાં છે. તેમજ ધનવંતરી રથ પણ દોડવવામાં આવી રહ્યાં છે.